Posted by: રોહિત વણપરીયા | January 27, 2010

એક પ્રસંગ : સતકર્મનું ફળ

સ્કોટલેંડમાં ફ્લેમિંગ નામનો એક ખેડૂત તેનાં ખેતરમાં કામ કરી રહ્યો હતો. એ વખતે તેણે અચાનક જ કોઇની મદદ માટેની ચીસ સાંભળી. સાંભળતા જ ફ્લેમિંગ એ તરફ દોડ્યો. જોયું તો એક છોકરો ત્યાંની રેતાળ જમીનમાં રેતીની અંદર ખૂપી રહ્યો હતો. દોડીને ફ્લેમિંગ બાજુમાંથી ઝાડની એક મોટી ડાળી લાવ્યો અને તેને તે છોકરા તરફ મદદ માટે લંબાવી. છોકરો તે ડાળી પકડીને બહાર આવીને બચી ગયો.

એ પછીનાં દિવસે છોકરાનાં પિતા એવા એક ધનાઢ્ય સજ્જન તે ખેડૂત પાસે તેનો આભાર માનવા આવ્યાં. એ વખતે ફ્લેમિંગનો પુત્ર ત્યાં જ ખેતરમાં રમી રહ્યો હતો. તેનાં ભાવિ વિશે પૂછતા ફ્લેમિંગે જવાબ આપ્યો કે તે પણ મારી જેમ ખેતરમાં જ કામ કરશે. પેલા સજ્જને ફ્લેમિંગને એનાં પુત્રને શહેરમાં પોતાની સાથે લઇ જઇને અભ્યાસ કરે તે માટે મનાવ્યો. ફ્લેમિંગ તેમાં સમંત થયા.

આગળ જતાં પેલા ધનાઢ્ય સજ્જનને ત્યાં અભ્યાસ કરતો પેલો ખેડૂતપુત્ર એલેકઝાંડર ફ્લેમિંગ નામનો મહાન વૈજ્ઞાનિક બન્યો. તેણે શોધેલ પેનિસિલિનને કારણે લાખો દર્દીઓને રાહત અને નવજીવન મળ્યું.

એકવખત એવું બન્યું કે પેલા ધનિક સજ્જ્નનાં પુત્રને ન્યુમોનિયા થયો. એ વખતે તેનાં બચાવમાં પણ પેલી પેનિસિલિનની દવા જ કામ આવી.

ખેડૂત ફ્લેમિંગે કોઇ અપેક્ષા વગર જ મદદ કરી હતી, અને પેલા સજ્જને પણ.

આવા હોય છે સતકર્મોનાં ફળ.

પહેલવાનનાં ખંભે હાથ મૂકવા માત્રથી રોગી માણસ તંદુરસ્ત નથી બની જતો. બસ, એ જ રીતે માત્ર કાયાનાં સ્તરે જ ધર્મ કરતાં રહેવાથી આત્મા દોષમુક્ત નથી બની જતો.

સજ્જનની વાતમાં સમંત થવામાં જેટલી તાકાત જોઇએ છે, એનાં કરતાં અનેકગણી તાકાત દુર્જનની વાતમાં અસમંત થવામાં જોઇએ છે.

ગુરૂની કઠોરતા એ જ એની કરૂણા છે.

સાગરનાં પાણીને કહેવાય છે તો પાણી જ, પણ એ પાણી તૃષા ઘટાડવાને બદલે વધારતું રહે છે. સંસારની ભૌતિક સામગ્રીઓને પણ કહેવાય છે તો સુખ જ, પણ એ તૃપ્ત કરવાને બદલે અતૃપ્તિ વધારતું રહે છે.

કુરૂપ માણસનો જેમ દર્પણ દુશ્મન હોય છે તેમ દંભી માણસ આત્મનિરીક્ષણનો દુશ્મન હોય છે.

ગુનો જો નથી જ કર્યો તો ભલે ઘરની બાજુમાં જે જેલ ઊભી થઇ ગઇ છે, ડરવાની કોઇ જ જરૂર નથી. પાપ જો કર્યું જ નથી તો કર્મસતાથી ડરવાની કોઇ જ જરૂર નથી.

આ જગતમાં સરળમાં સરળ કામ કાંઇ હોય તો, એ છે મનને બગાડવાનું અને કઠિનમાં કઠિન કામ હોય તો, એ છે મનને સુધારવાનું.

તમારા પરિવારનું જીવન સુધારવાનાં તમારા આવેશપૂર્ણ પ્રયાસો તમારૂ મરણ બગાડનારા ન બની રહે એની ખાસ કાળજી રાખજો.

પુરૂષ જો સુધરે છે તો એ એકલો જ સુધરે છે, પણ સ્ત્રી જો સુધરે છે તો આખુ ઘર સુધરી જાય છે.

આવક વધતી ન હોય ત્યારે ખર્ચ ઘટાડી નાખવામાં જે વ્યક્તિ સફળ બની જાય છે, એ વ્યક્તિ કાળઝાળ મોંઘવારીમાંય સમાધિ ટકાવી રાખવામાં સફળ બની રહે છે.

દૂધ જોઇએ છે એ જરૂરિયાત. દૂધમાં સાકર જોઇએ છે એ ઇચ્છા અને દૂધમાં સાકર જોઇએ જ છે એ આકાંક્ષા.

ગરીબ અને શ્રીમંત વચ્ચે સંપતિની માત્રામાં તફાવત હશે પણ અતૃપ્તિની માત્રામાં તો કોઇ જ તફાવત નથી.

ગણિત અને ગણતરીમાં જ જે રમ્યા કરે છે એ અગણિતને પામવાથી વંચીત રહી જાય છે.

સબંધમાં એકવાર શંકા ઊભી થઇ જાય છે પછી સહવાસની પ્રત્યેક પળ મજાનું કારણ ન બનતા સજાનું કારણ બની રહે છે.

દરેક નવપ્રસ્થાન વખતે માણસનાં મનમાં કંઇક ભયની લાગણી રહે છે; કારણ કે પોતાને વધારે પરીચિત અને સહીસલામત લાગતી સ્થિતિમાંથી એણે નવી ને અજાણી સ્થિતિમાં ઝંપલાવવાનું હોય છે.

વિવેકબુધ્ધિ અવિભાજ્ય છે અને જીવનનાં બધા ક્ષેત્રોમાં તે હોવી જોઇએ. માણસે પ્રકૃતિનું, માનવનું, સમાજનું અને પોતાની જાતનું તટસ્થ જ્ઞાન મેળવવાનું છે. આમાનાં કોઇપણ એક ક્ષેત્ર વિશે માણસ ભમ્રમાં રહે તો એની વિવેકબુધ્ધિ કુંઠીત થાય છે. અને તેથી બીજા ક્ષેત્રોમાં પણ એનો ઉપયોગ રૂંધાય છે. તેથી વિવેકબુધ્ધિએ માણસનાં સમસ્ત જગતને આવરી લેવાનું છે.

માણસનું કૃત્ય ગમે તેવું વિવેકહીન કે અનૈતિક હોય તોયે તેને વાજબી ઠેરવવાની એક અદમ્ય ઇચ્છા માણસની અંદર રહેલી છે.

મૂડીવાદી મૂલ્યોનાં પિરામિડમાં મૂડી શ્રમ કરતાં ઉપરનાં સ્થાને છે. શ્રમ મૂડીનાં હાથમાંનું સાધન છે, નહિં કે મૂડી શ્રમનાં હાથમાંનું.

ભૌતિક સમૃધ્ધિ, રાજકિય અને સામાજિક સ્વતંત્રતા છતાંયે આજે આપણો સમાજ માનસિક સ્વાસ્થયની દ્રષ્ટિએ પહેલાં કરતાં વધુ પછાત છે.

મૂડીવાદી અર્થવ્યવસ્થા વિશે કહ્યું છે: ‘તેને આજે એવા માણસો જોઇએ છે, જેઓ વિશાળ સમૂહમાં ચૂં કે ચાં કર્યા વિના ભળી જાય, ભૌતિક વસ્તુઓનો વધુને વધુ ઉપભોગ કરે, યંત્રવત કામ કર્યા કરે.’ આવા માણસો મૂડીવાદી સમાજમાં ઘર્ષણ વિના બંધબેસતા થઇ જાય છે.

ઉપભોગ એ હવે સાધનને બદલે સાધ્ય બની બેઠું છે… પોતાની બીનજરૂરી વધતી જરૂરિયાતો સંતોષનારા લોકોનો માણસ દાસ બની ગયો છે.

સુખ એટલે દુ:ખનો અભાવ નહિં, પણ હતાશાનો અભાવ.

એક માણસને પોતાની નોકરી ન ગમતી હોય છતાં બેકારીને ભયે તેને તે કરવી પડતી હોય તો તેનાં સમગ્ર વર્તન પર આની અસર પડે છે.

ઐતિહાસિક દ્રષ્ટિએ જોઇએ તો રાજકારણમાં કે તત્વજ્ઞાનમાં, ધર્મમાં કે વિજ્ઞાનમાં બધા ”સાચા” વિચારો મૂળમાં તો લધુમતીનાં જ વિચારો હતાં. જો માણસે વિચારનું મૂલ્ય સંખ્યાનાં ધોરણે આંક્યું હોત, તો આપણે હજી ગુફાઓમાં વસતા હોત.

Posted by: રોહિત વણપરીયા | January 5, 2010

MISC. અવતરણો…( 2 )

તમે કહો છો એ હું નામંજુર કરૂ છું, પરંતુ તમારા એ કહેવાનાં અધિકારનું હું મૃત્યુ સુધી રક્ષણ કરીશ. – વોલ્તેર

બાળક એ કાંઇ માહિતી ભરવાનું પાત્ર નથી. – રાબેલેઇસ

બાળકો ક્યારેય ગેરકાયદેસર નથી હોતા. ગેરકાયદેસર તેમનાં Mother/Father હોય શકે છે. – લિયોન આર. યાંકવીચ

માણસને ફક્ત સુખી થવું હોત, તો એ સહેલાઇથી થઇ શકત, પરંતુ આપણને તો બીજાઓ કરતાં વધારે સુખી થવું છે, અને એ હંમેશા મુશ્કેલ છે, કારણ કે બીજાઓ જેટલા સુખી હોય એ કરતાં આપણે એને વધારે સુખી કલ્પી લીધેલા હોય છે. – મોતેસ્ક

ઓળખાણ વગરનો વિશ્વાસ, સંબંધ વગરની વાણી, કારણ વગરનો ગુસ્સો, જિજ્ઞાશા વગરની પૂછપરછ, પ્રગતિ વગરનું પરિવર્તન. આ પાંચ લક્ષણથી મૂર્ખતા ઓળખાય જાય છે. – વેદવ્યાસ

દુ:ખમાં આવી પડેલો માણસ પોતાનાં નશીબને દોષ દે છે, પણ પોતાનાં કર્મનાં દોષને એ જોતો નથી. – વિષ્ણુ શર્મા

બાળકો નિર્દોષ હોય છે અને ન્યાયને ચાહે છે, જ્યારે મોટાભાગનાં વડીલો દૃષ્ટ હોય છે અને દયા ચાહતા હોય છે. – જી.કે.ચેસ્ટરસન

‘મા યુવાન થઇ વૃધ્ધ થાય છે પરંતુ તેનાં સંતાન સદા બાળક જ રહે છે.’ – ઇરિચ નોરિશ

દરેક માણસને સફળતા પ્રિય છે, પણ સફળ માણસને બધા લોકો ધિક્કારતા હોય છે. – જોન મૈકનરો (ટેનિસ ખેલાડી)

કોઇ યુવતીનાં દોષ જાણવા હોય તો તેની બહેનપણીઓ સમક્ષ તેનાં વખાણ કરો. – ફ્રેંકલિન

હું એ નથી જાણતો કે સફળતા મેળવવાની સીડી કઇ છે; હા! નિષ્ફળતા મેળવવાની સીડીની ખબર છે: દરેક લોકોને ખુશ રાખવાની ઇચ્છા. – બિલ કોસ્બી

Posted by: રોહિત વણપરીયા | January 2, 2010

MISC. અવતરણો…( 1 )

સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજીનાં આઝાદીની લડત પોતપોતાનાં સિધ્ધાંત મુજબ લડતાં પણ બોઝને અંગત રીતે ગાંધીજી પ્રત્યે આદર હતો. તેમણે તેમનાં વિશે એકવખત (હરિપુરાની મહાસભામાં) કહેલ, ‘હિંદનાં સ્વાતંત્ર્ય માટે એમની ઘણી જ આવશ્યકતા છે. એટલું જ નહિ માનવજાતિનાં ઉધ્ધાર માટે પણ એમની એટલી જ આવશ્યકતા છે.’

હે, પ્રભુ! મહાન કોઇ બીજાને બનાવજે. મને તો બસ નિર્દોષ રાખજે. – કેરોલાઇન મેટિલ્ડા (ડેનમાર્કની રાણી)

જે બીજાઓને સતા ઉપર બેસાડવા માટે નિમિત બને છે (મદદ કરે છે) તેની પોતાની સતાનો નાશ થાય છે. – મેકિયાવેલી

સ્વતંત્રતા અલ્પ હોય ત્યારે બંધિયારપણું લાવે છે; અતિશય હોય ત્યારે અંધાધૂંધી. – બટ્રાંડ રસેલ

જ્યારે બીજા બધા મગજ ગુમાવી રહ્યાં હોય અને દોષનો ટોપલો તારા ઉપર ઢોળી રહ્યાં હોય, ત્યારે તું જો મગજની સમતુલા રાખી શકે; જ્યારે બધા લોકો તારા ઉપર શંકા કરી રહ્યાં હોય, ત્યારે તું જો તારી જાત ઉપરનો વિશ્વાસ ટકાવી શકે અને એની શંકાને પણ નિર્મૂળ કરી શકે, તો આ પૃથ્વી તારી છે; અને વધુ તો શું કહું? પણ મારા પુત્ર! તું સાચા અર્થમાં એક મનુષ્ય બની શકીશ. – રૂડિયાર્ડ કિપલીંગ

આળસ અને અભિમાન આપણી પાસેથી રાજા (સરકાર) કરતાં પણ વધુ દંડ વસુલ કરે છે. – બેન્જામિન ફ્રેંકલિન

અમેરિકન કવિયત્રી માયા એન્જેલુએ તેનાં એક નિબંધમાં લખ્યું છે: ‘યુવાન હોવુ, હોશિયાર હોવું, મહત્વાકાંક્ષી હોવું અને છતાં ગરીબ હોવું, એનાં જેવું ધિક્કારપાત્ર બીજુ કશું નથી.’… બીજુ એક વાક્ય: જીવનની સૌથી મોટી કરૂણતા એ છે કે ‘હું ગરીબ છું’ એવી સભાનતા હોવી તે.

‘હું જ્યારે મહાન માણસોની પાસે જાઉ છું ત્યારે મને તેઓ હંમેશા નાના લાગ્યા છે, પણ ફક્ત ગાંધીજી જ મને એક એવા લાગ્યા છે કે જે નિકટ ગયા પછી પણ મોટા લાગ્યા છે.’ – ડેવિડશન (અમેરિકન શિલ્પકાર)

રશિયન લેખક મેક્સિમ ગોર્કિ કહેતા: ‘આપણે પક્ષીઓની જેમ આકાશમાં ઊડતા શીખ્યા છીએ, આપણને માછલાની જેમ પાણીમાં તરતા આવડ્યું છે, પણ આપણને પૃથ્વી પર કેમ રહેવું/જીવવું એ શીખ્યા નથી.’

રોમન દાર્શનિક લુક્રેશિયસે કહ્યું છે: ‘મૃત્યુનું દ્રાર બંધ નથી કરી દેવામાં આવ્યું, તે તો ભયંકર રૂપમાં ઉઘાડુ જ પડ્યું છે.’ (ટૂંકમાં, માણસ જો પોતાનાં અવળા રાહ નહિ છોડે તો તે મૃત્યુનાં મુખમાં ઝડપાઇ જશે)

હું પ્રતિભાશાળી વ્યક્તિ નથી પણ મારામાં જીજ્ઞાસા છે.

પોતે જે જાણે છે અને નથી જાણતો, એ બંને વિશે સભાન હોય તેને જ જ્ઞાની પુરૂષ કહી શકાય.

પોતાનાથી નીચલી કક્ષાનાં માણસ પાસેથી નવું શિખવામાં જેને ક્ષોભ નથી તે સંસ્કારી છે.

અતિરેક અને અછત બંને નુકશાનકારક છે.

શ્રેષ્ઠ વ્યક્તિ એ છે જે ઉચ્ચ પદ પર હોવા છતાં ક્યારેય ધમંડ નથી કરતો અને સામાન્ય પદ પર હોવા છતાં કાર્ય પ્રત્યે ઉપેક્ષા નથી કરતો.

વિધ્વાન હોવા છતાં જેનામાં ગંભીરતા નથી તેની પાસેનું જ્ઞાન અસરકારક નહિં બને અને લોકોમાં તે શ્રધ્ધા ઉત્પન કરી શકશે નહિ.

માણસ ક્યારેય પણ તેનું ગુપ્ત ચરિત્ર લાંબા સમય સુધી છુપાવી શકતો નથી.

જ્ઞાન વગરનું ચિંતન નકામો પરિશ્રમ છે, જ્ઞાનનાં અભાવમાં કરવામાં આવતું ચિંતન ભયજનક છે.

સ્વયં પર વિજય પ્રાપ્ત કરવો અને નીતિમતાનું પાલન કરવું એ પુર્ણ સદગુણ છે.

જો આદેશો સ્પષ્ટ હશે તો જ તેનું પાલન થઇ શકશે.

અનાયાસ પ્રાપ્ત થયેલી લક્ષ્મી, પરિશ્રમ અને પુરૂષાર્થ વગરનું જીવન અને સાચી ભૂખ વિનાનું ભોજન સરવાળે આનંદ આપતા હોવા છતાં હાનિકારક છે.

સાચુ શું છે એ જાણવું અને એમ ન કરવું એ હિંમતનો અભાવ છે.

વધુ જ્ઞાનમાં વધુ દુ:ખ છે અને જે જ્ઞાનવૃધ્ધિ કરે છે તેનું દુ:ખ પણ વધે છે.

અમુક હક સુધીનાં પૈસા સુખ વધારવામાં ખૂબ મદદરૂપ જરૂર બને છે, પરંતુ તે હદ પછી વધુ પૈસાથી સુખની માત્રા વધતી નથી. મારૂ કહેવું એમ છે કે સફળતા એ સુખ માટેનું એક સાધન છે ખરૂ, પરંતુ બીજા બધા સાધનોને ભોગે જો તે ખરીદાય તો તે બહુ મોંધુ પડી જાય.

સફળતા મેળવ્યા પછી શું કરવું, તે જો મનુષ્યને શીખવવામાં નહીં આવે તો તેની પ્રાપ્તી પછી તે માણસ અતિશય કંટાળાનો ભોગ બન્યા વગર નહીં રહે.

માણસની તમામ શકિતઓ પૂરેપૂરે કાર્યરત ન હોય તો જ કંટાળાનો અનુભવ થાય છે.

આપણું માનસ વ્યવસ્થિત હોય તો સુખ તથા કાર્યક્ષમતા કેટલી વધી જાય છે, તે જોઇ ખરેખર આશ્ર્ચર્ય થયા વગર રહેતું નથી, તેનું કારણ એ કે વ્યવસ્થિત મનવાળો માનવી આખો વખત અયોગ્ય વિચારો કરવાને બદલે યોગ્ય સમયે યોગ્ય વિચારો કરે છે. અનિશ્ચતતા જેવું મિથ્યા અને થકવી નાખનારૂ બીજુ કશું જ નથી હોતું.

સ્ત્રીઓ તમામ સ્ત્રીઓને પોતાની હરિફ ગણે છે, જ્યારે પુરૂષો સામાન્ય રીતે પોતાનાં વ્યવસાયમાં પડેલાને પોતાનો હરિફ ગણે છે.

સુખમાં મોટામાં મોટુ વિધ્ન ઇર્ષાનું હોય છે. જેનાં બાળપણમાં કમનશીબ ઘટનાઓ બની હોય છે તેનાં જીવનમાં ઇર્ષાનું અસ્તિત્વ ખડું થાય છે, એવી મારા માન્યતા છે.

ભિખારીઓ પોતાનાથી વધુ સફળ બનેલા ભિખારીની અદેખાય કરે છે, પણ લખપતિઓની ઇર્ષા કરતાં નથી.

માણસને જે કામ કરવાનું છે તે કરવાં માટે જ્યારે તે અસમર્થ હોય ત્યારે તેને સર્વ બાબતો પ્રત્યે અસંતોષ ઉપજે છે.

જે માણસ પોતાનાં લગ્નજીવન તથા બાળકો સાથે સુખી હોય છે, અને જ્યાં સુધી પોતાને સાચો લાગે તે માર્ગે પોતાનાં બાળકોને ઉછેરી શકે તેટલી શક્તિ હોય ત્યાં સુધી તેને બીજા માણસનાં વધારે પૈસાની કે સફળતાની ઇર્ષા થતી નથી.

આખા દિવસનાં કામ પછી સાંજે શતરંજની રમત રમવા તરફ જે માણસ આનંદભેર ઘરભણી મીટ માંડી રહે એટલો શોખીન હોય તો તે નશીબદાર ગણાય, પણ જે માણસ શતરંજ રમવાની ચડશમાં કામકાજ તજી દે તેણે સંયમનો સદગુણ ગુમાવ્યો છે એમ કહેવાય.

માણસને જેવા પ્રકારનાં પ્રેમની જરૂર હોય તેવો પ્રેમ તેને મળી જાય તો તેનાંમાં આત્મવિશ્વાસની લાગણી ઉત્પન થાય છે.

Posted by: રોહિત વણપરીયા | December 1, 2009

અવતરણો… / Quotations

ફકીર પાસે એક રોટલી હોય તો તે અડધી પોતે ખાય છે અને અડધી ગરીબને આપે છે. બાદશાહ પાસે એક રાજ્ય હોય તો તે બીજા રાજ્યની અપેક્ષા રાખે છે. – શેખ સાદી

આપણે કદીય સાચુ જીવન જીવતાં હોતાં નથી. ભવિષ્યમાં જીવીશું તેની રાહમાં જોવામાં જ આપણે અટવાતા હોઇએ છીએ. – વોલ્તેર

જે લોકો નાનપણથી ખરાબ રસ્તે જાય છે તેમાંનાં લગભગ દરેકની મા ખરાબ હતી. – હેન્રીક ઇબસેનનું નાટક ‘A Doll’s House’માંથી)

શિક્ષણથી જો મન વધારે સારા વલણોવાળુ ન થાય, નિર્ણયશક્તિ જે વધારે સ્થિર ન થાય તો મારો વિધાર્થી ટેનિશમાં વખત પસાર કરે એ મને વધારે ગમે. – મોન્ટેઇન (Montaigne)

દૃષ્ટતા સામે તો લડી લેવાય, પણ મૂર્ખતા પાસે આપણે કેવળ અસહાય છીએ. – હેન્રી મિલર

પોતાનાંથી સાવ જુદા માણસોની સાથે સુમેળથી રહેવાની કળાને સંસ્કૃતિ કહે છે. – હેલન કેનોન

પુરૂષનાં મિથ્યાભિમાન પર ઘા કરવામાં સ્ત્રીને સૌથી વધારે આનંદ આવે છે, જ્યારે સ્ત્રીનાં મિથ્યાભિમાનને પોષવામાં પુરૂષને એવો જ આનંદ આવે છે. – જ્યોર્જ બર્નાડ શો

નરમ કાયદો ભાગ્યે જ પળાય છે, અને કડક કાયદાનો ભાગ્યે જ અમલ થાય છે. – બેન્જામિન ફ્રેંકલિન

ખરાબ કાયદાઓને રદ કરવાનો અસરકારક રસ્તો મને એક જ દેખાય છે – એ કાયદાઓનો નિર્દયપણે અમલ કરો. – યુલિસેસ ગ્રાંટ (Ulysses Grant)

સુખ માટે નહિ પણ ખુદ જીવતા રહેવા માટે આપણને થોડા અજ્ઞાનની જરૂર છે. જો આપણે બધું જ જાણતા થઇ જઇએ તો આપણે એક કલાક પણ જીવી શકીએ નહિ. – અનાતોલ ફ્રાંસ

Posted by: રોહિત વણપરીયા | November 28, 2009

રવીન્દ્રનાથ ટાગોરની સાહિત્ય-કણિકાઓ…

જ્યાં બહારની સહાયતા થોડામાં થોડી હોય ત્યાં મનુષ્યનો પોતાનો સર્જનનો ઉધમ આપોઆપ જાગે છે. જેમનો ઉધમ જાગતો નથી તેમને પ્રકૃતિ કચરાની માફક કાઢી નાખે છે.

નાના ભિખારીની નજરે મોટો ભિખારી રાજા જેવો છે, પણ ભિખારી તે ભિખારી જ.

અહંકાર એ કાંઇ હાથી-ઘોડા જેવી ચીજ નથી. હાથી-ઘોડા પાછળ ખર્ચ કરવું પડે છે. તે ખાવાનું માંગે છે, પણ અહંકાર બિલકુલ ઓછા ખર્ચે ને વગર ખોરાકે ખૂબ પુષ્ટ બનાવી શકાય છે.

જ્યારે કોઇપણ વસ્તુ પોતાની ઇચ્છાની પર હોય ત્યારે બધુ ગમાડી લેવું એમાંજ મોટાઇ છે.

માણસની સૌથી સાચી ઇચ્છા મોટા થવાની હોય છે, સુખી થવાની નહિ.

મનુષ્ય પોતે શોધી કાઢેલા વિજ્ઞાન કરતાં અનંતગણો મહાન છે.

જેની પાસે મૂડી હોય છે, તે સસ્તાનું નામ સાંભળતા એટલો બધો ખુશ થઇ જાય છે કે માલ શો છે અને કેવો છે તેની પણ તપાસ કરતો નથી.

પાપ કરી એની સજા ખમી શકાય, પણ એની માફીનો ભાર સહન ન થાય એવો હોય છે.

આજે ભારતની દુર્ગતિનું મુખ્ય કારણ તેનાં ગૃહધર્મની ગંભીરતા છે. અર્થાત ગૃહની માંગણીઓ એટલી પ્રબળ અને અનેકવિધ હોય છે કે તે માણસની સઘળી શક્તિને અને આશાને તળિયા તરફ જ લઇ જાય છે, ઘાટ તરફ નહિ.

દેશને બચાવવા ખાતર કાંઇ એકલી લાગણી જ કામ આવતી નથી, તેની સાથે જ્ઞાનની પણ જરૂર છે.

જેને સૌથી સારૂ મેળવવાની આકાંક્ષા હોય છે તેને ઘણુ ઘણુ સારૂ હાથમાં આવેલું છોડવું પડે છે.

રાતદિવસ બહુ બુધ્ધિશાળી લોકોમાં રહેવું પડે તો માણસની અક્કલ મરી જાય.

પગ નીચેની જમીન નહિ ગમવાથી તમે આકાશમાં ઉડવા ઇચ્છો છો. પરંતુ ખાત્રી રાખજો કે આકાશ પણ તમને નહિ ગમે. બીજી વ્યવસ્થા આગળથી કર્યા પછી જ પહેલીનો ભંગ કરો.

દરેક ઉંમરે દરેક વાત નથી સમજાતી. દરેક વાતને દરેક વખતે સમજવાની જરૂર પણ નથી હોતી.

Posted by: રોહિત વણપરીયા | November 17, 2009

તત્વચિંતક એમર્સનનાં વિચારો…

અહિં તેમનાં મોટાભાગનાં વિચારો તેમનું પ્રથમ અને વિશ્વપ્રસિધ્ધ પુસ્તક ‘Nature’(૧૯૩૬)માંથી રજુ કરવામાં આવ્યા છે.

પ્રત્યેક મનુષ્યનાં શિક્ષણમાં એક સમય એવો આવે છે જ્યારે તેને ખાત્રી થાય છે કે ઇર્ષા એ અજ્ઞાન છે, અને અનુકરણ એ આપઘાત છે.

આપણે શું કરી શકીએ તે આપણાં સિવાય અન્ય કોઇ જાણી શકતું નથી, તેમ આપણે પોતે પણ એ તેનાં સંબંધમાં અજમાયશ કર્યા વગર જાણી શકતા નથી.

કોઇ ક્રોધી સ્વભાવ ધરાવતો ધર્માંધ મનુષ્ય ગુલામીની પ્રથા નાબુદ કરવાનું પવિત્ર કાર્ય હાથમાં લે, અને મારી પાસે આવીને તે વિશે સમજાવવા લાગે ત્યારે મારે તેને એટલું જ કહેવું રહ્યું કે, ‘મારા ભાઇ, તારે ઘેર જઇને તારા બાળકોને પ્રેમ કર, તારા નોકર ઉપર પ્રેમ રાખ; તારો સ્વભાવ શાંત અને નમ્ર કર; કોમળ બન.’ મારૂ આ કહેવું તેને બાણ મારવા જેવું થશે, પણ સત્ય એ પ્રેમનાં દેખાવ કરતાં વધારે સુંદર વસ્તુ છે.

મારૂ જીવન એ એક દ્રશ્ય તરીકે નહિ (લોકોની નજરે સારૂ કે ખરાબ), પણ તેનાં પોતાનાં માટે છે. એ જીવન ઝગમગતુ બને એ કરતાં સહેજ ઉતરતું પણ યર્થાથ અને સમાન રહે એ વધુ ઇચ્છવા યોગ્ય છે.

મારે શું કરવું જોઇએ એટલુ જ મારે ધ્યાનમાં લેવાનું છે, નહિ કે લોકો મારી પાસે શું ઇચ્છે છે.

મનુષ્ય પોતે એવો મહાન હોવો જોઇએ કે તે સર્વ વસ્તુઓ અને સંજોગોને નજીવા કરે.

તારા સિવાય અન્ય કાંઇપણ તને શાંતિ આપી શકવાનું નથી.

મનુષ્ય સ્વાભાવિક જીવન ગાળે અને જે મુશ્કેલીઓ તેની પોતાની નથી, તેને પોતાનાં જીવનમાં સ્થાન ન આપે, તો તેનું બૌધિક જીવન નિર્મળ અને સ્વસ્થ રહે છે.

મનુષ્ય જે ધંધામાં કે વેપારમાં પડે તેની વસ્તુસ્થિતીને બને તેટલો અનુકૂળ થાય છે, અને તેમાં યંત્રની માફક કામ કરે છે. આમ કરતાં તે યંત્રવત બને છે. વ્યક્તિએ ધંધામાં પોતાનું ચારિત્ર્ય પ્રગટ કરવું જોઇએ,… એ ધંધો ક્ષુદ્ર હોય તો તેણે તેનાં પોતાનાં વિચાર અને ચારિત્ર્યથી ઉચ્ચ બનાવવો જોઇએ.

શૌર્યનું ખરૂ લક્ષણ તેની દઢ્ઢતા છે.

ગરીબ લોકો પૈસાદારોને જેટલા સુખી માને છે એટલા સુખી પોતે ખરેખર હોત તો કેવું સારૂ હોત, એમ પૈસાદારો માને છે.

ભય હંમેશા અજ્ઞાનતાથી ઉત્પન થાય છે.

Older Posts »

Categories