Posted by: રોહિત વણપરીયા | November 17, 2009

તત્વચિંતક એમર્સનનાં વિચારો…

અહિં તેમનાં મોટાભાગનાં વિચારો તેમનું પ્રથમ અને વિશ્વપ્રસિધ્ધ પુસ્તક ‘Nature’(૧૯૩૬)માંથી રજુ કરવામાં આવ્યા છે.

પ્રત્યેક મનુષ્યનાં શિક્ષણમાં એક સમય એવો આવે છે જ્યારે તેને ખાત્રી થાય છે કે ઇર્ષા એ અજ્ઞાન છે, અને અનુકરણ એ આપઘાત છે.

આપણે શું કરી શકીએ તે આપણાં સિવાય અન્ય કોઇ જાણી શકતું નથી, તેમ આપણે પોતે પણ એ તેનાં સંબંધમાં અજમાયશ કર્યા વગર જાણી શકતા નથી.

કોઇ ક્રોધી સ્વભાવ ધરાવતો ધર્માંધ મનુષ્ય ગુલામીની પ્રથા નાબુદ કરવાનું પવિત્ર કાર્ય હાથમાં લે, અને મારી પાસે આવીને તે વિશે સમજાવવા લાગે ત્યારે મારે તેને એટલું જ કહેવું રહ્યું કે, ‘મારા ભાઇ, તારે ઘેર જઇને તારા બાળકોને પ્રેમ કર, તારા નોકર ઉપર પ્રેમ રાખ; તારો સ્વભાવ શાંત અને નમ્ર કર; કોમળ બન.’ મારૂ આ કહેવું તેને બાણ મારવા જેવું થશે, પણ સત્ય એ પ્રેમનાં દેખાવ કરતાં વધારે સુંદર વસ્તુ છે.

મારૂ જીવન એ એક દ્રશ્ય તરીકે નહિ (લોકોની નજરે સારૂ કે ખરાબ), પણ તેનાં પોતાનાં માટે છે. એ જીવન ઝગમગતુ બને એ કરતાં સહેજ ઉતરતું પણ યર્થાથ અને સમાન રહે એ વધુ ઇચ્છવા યોગ્ય છે.

મારે શું કરવું જોઇએ એટલુ જ મારે ધ્યાનમાં લેવાનું છે, નહિ કે લોકો મારી પાસે શું ઇચ્છે છે.

મનુષ્ય પોતે એવો મહાન હોવો જોઇએ કે તે સર્વ વસ્તુઓ અને સંજોગોને નજીવા કરે.

તારા સિવાય અન્ય કાંઇપણ તને શાંતિ આપી શકવાનું નથી.

મનુષ્ય સ્વાભાવિક જીવન ગાળે અને જે મુશ્કેલીઓ તેની પોતાની નથી, તેને પોતાનાં જીવનમાં સ્થાન ન આપે, તો તેનું બૌધિક જીવન નિર્મળ અને સ્વસ્થ રહે છે.

મનુષ્ય જે ધંધામાં કે વેપારમાં પડે તેની વસ્તુસ્થિતીને બને તેટલો અનુકૂળ થાય છે, અને તેમાં યંત્રની માફક કામ કરે છે. આમ કરતાં તે યંત્રવત બને છે. વ્યક્તિએ ધંધામાં પોતાનું ચારિત્ર્ય પ્રગટ કરવું જોઇએ,… એ ધંધો ક્ષુદ્ર હોય તો તેણે તેનાં પોતાનાં વિચાર અને ચારિત્ર્યથી ઉચ્ચ બનાવવો જોઇએ.

શૌર્યનું ખરૂ લક્ષણ તેની દઢ્ઢતા છે.

ગરીબ લોકો પૈસાદારોને જેટલા સુખી માને છે એટલા સુખી પોતે ખરેખર હોત તો કેવું સારૂ હોત, એમ પૈસાદારો માને છે.

ભય હંમેશા અજ્ઞાનતાથી ઉત્પન થાય છે.

લેખક: હરનિશ જાનીનો હાસ્યલેખસંગ્રહ ‘સુશીલા’માંથી મને ગમેલ કેટલાક વાક્યો.

લેખકની E-Mail ID: harnish5@yahoo.com

સંગીતનાં જલસામાં ત્રણ પ્રકારનાં લોકો બેઠા હોય છે. એકની આંખો ખુલી છે અને માથુ હાલે છે, એને સંગીતનું ભાન છે. બીજાની આંખો બંધ છે અને માથુ ડોલે છે, તેને સંગીતનું જ્ઞાન છે. ત્રીજાની આંખો બંધ છે. માથુ નથી ડોલતુ, તે ઊંઘે છે અને તે સંગીત આલોચક છે.

મને લાગે છે કે લોકો ભગવાનની પાછળ સ્વર્ગની લાલસા માટે નહીં પણ નરકનાં ડરથી દોડતા હશે.

જયારે આપણે બોલીએ અને મૂર્તિ સાંભળે એને શ્રધ્ધા કહેવાય.અને જયારે મૂર્તિ બોલે અને આપણને સંભળાય એને ગાંડપણ કહેવાય.

ઉંમરથી ડોસા નથી બનાતું. વર્તનથી બનાય છે.

દેશનું દુર્ભાગ્ય છે કે જેઓ રાજ કેમ ચલાવવું એ જાણે છે.તે વાળ કાપવાના ધંધામાં વ્યસ્ત છે.

હું ઘણીવાર મંદિરમાં ભજન કે કથા વખતે મારી આજુબાજુવાળાઓને જોઉં છું અને પછી વિચારૂ છું કે ‘સ્વર્ગમાં પણ મારે આ લોકો સાથે જ બેસવાનું છે?’

કોઇક ડાહ્યા માણસે કહ્યું છે કે જ્યારે તમે લાંબા પ્રવાસે જાવ તો બેગમાં એક બાજુ સાથે લઇ જવાનાં કપડાં મૂકવાનાં અને બીજી બાજુ સાથે લઇ જવાનાં પૈસા મૂકવાનાં. હવે જેટલા કપડાં છે તેને અડધા કરો અને જેટલા પૈસા છે તેને ડબલ કરો. હવે ટ્રીપની તૈયારી કરો.

ખરેખર તો ટીકાકારોને કોઇપણ ક્ષેત્રનાં જ્ઞાનની જરૂર નથી.

જાહેરાત વિનાનો ધંધો એટલે અંધારામાં કોઇ છોકરીને આંખ મારવા બરાબર. તમે શું કરો છો તે તમને ખબર છે, પરંતુ બીજા કોઇને તેની ખબર નથી.

જગતમાં એવી કઇ વસ્તું છે જેને વેચનારે જોઇ નથી? ખરીદનારને પણ એ વસ્તું માટે કોઇ આઇડિયા નથી; છતાં સ્ત્રી અને પુરૂષ, બંને ખરીદવા પડાપડી કરે છે. જવાબ છે: સ્વર્ગ.

કોફી ટેબલ ઉપર પ્લેબોય મેગેઝિન જુઓ તો માનવું કે ઘરમાં બાળક નથી અથવા તો પુરૂષ સિંગલ છે અને પરણેલો હશે તો થોડા વખતમાં સિંગલ થઇ જશે.

Posted by: રોહિત વણપરીયા | November 9, 2009

તત્વચિંતકોનાં અવતરણો…

જે મારી પાસે નથી તે છે એવું માનવાની ભૂલ મેં કદી કરી નથી. મારા અજ્ઞાનનો હું સ્વીકાર કરૂ છું એટલા પૂરતો હું ડાહ્યો છું. – સોક્રેટીસ

જ્યાં સુધી તમે જે છો, જેવા છો, ત્યાં સુધી હું તમારા પર વિશ્વાસ રાખી શકું. – સોક્રેટીસ

રોગ અને ચીલાચાલુ રિવાજમાંથી ઉન્માદ ઉત્પન થાય છે. – સોક્રેટીસ

દેવતાઓનાં દિલની વાત જાણવાને બદલે આપણાં મનની વાત સાચા સ્વરૂપમાં જાણી લઇએ તો યે પૂરતુ છે. – સોક્રેટીસ

અતર્કવાળી વાતો માટે તર્ક કર્યા કરવો તે તર્કહીન પ્રયાસ છે. – સોક્રેટીસ

તમારા માટે તેઓ ખરાબ બોલે છે એમ જ્યારે પ્લેટોને કહેવામાં આવ્યું ત્યારે પ્લેટોએ પોતાનાં મિત્રને કહ્યું, ‘હું હવે પછી એવી રીતે જીવવાની કાળજી લઇશ કે તેઓનાં કહેવા ઉપર કોઈને વિશ્વાસ જ ન આવે.’

ક્યારે અટકવું એ જે જાણે છે તેને ક્યારેય કોઇ મુશ્કેલી નડતી નથી. – લાઓત્ઝે

માનવી પ્રશંશામાં રહેલ અસત્ય અને ટીકામાં રહેલ સત્યને ઓળખી શકતો નથી. – લાઓત્ઝે

બાળકને જેટલું સ્ત્રી સમજે છે તેટલું પુરૂષ નથી સમજતો. – નિત્સે

ભગવાન જો સત્ય તરફ પીઠ ફેરવી શકે તો હું ભગવાનને છોડીને સત્ય તરફ વળગુ. – લ્યુસિયસ સેનેકા

મોટા માણસોની હાજરીમાં ત્રણ દોષોને દૂર રાખવા: પહેલો દોષ: ઉતાવળિયાપણાનો – તમારો વારો આવે તે પહેલા બોલવું તે. બીજો દોષ: શરમાળપણાનો – તમારો વારો આવે ત્યારે ન બોલવું તે, ત્રીજો દોષ: બેદરકારીનો – સાંભળનારનાં ચહેરા તરફ નજર રાખ્યા વિના બોલવું તે. – કન્ફ્યુશિયસ

Posted by: રોહિત વણપરીયા | November 5, 2009

અવતરણો… અવતરણો… અવતરણો…

જીવનમાં કાંઇપણ એટલું નુકશાનકારક કે ખતરનાક નથી જેટલું હાલકડોલક/અનિર્ણીત સ્થિતિમાં રહેવું. – સુભાષચંદ્ર બોઝ

સામાન્ય રીતે માણસ એવા વિષયમાં જાણવા માટે વધુ ઉત્સુક હોય છે જેની સાથે તેને કાંઇ જ લેવાદેવા ન હોય. – બર્નાડ શો

માણસ જ્યારે અજુગતી આજ્ઞા કે દરખાસ્તને ઠુકરાવે ત્યારે સમજવું કે તેનામાં જાગૃતિ આવી છે. – એરિક ફ્રોમ

તકની રહેવાની જગ્યા મુશ્કેલીઓ વચ્ચે છે. – આઇન્સ્ટાઇન

ઘણાં લોકો પોતાની નબળાઇઓને નથી જાણતા એ વાત સાચી છે, પણ એ વાત પણ સાચી છે કે ઘણાં લોકો પોતાની શક્તિઓને પણ નથી જાણતા હોતા. – જોનાથન સ્વિફ્ટ

સાધુ યા સંતો જ્યાં સુધી નિર્દોષ સિધ્ધ ન થાય, ત્યાં સુધી તેઓને પાખંડી જ માની લેવા જોઇએ. – જ્યોર્જ ઓરવેલ

જે બાબતને માટે પુરૂષાર્થ કરવાની ખાસ જરૂર છે, તે બાબતને લોકો ભાગ્ય ઉપર છોડી દે છે; અને જે બાબત ભાગ્ય ઉપર છોડી દેવા જેવી છે, તેને જ માટે માણસ ચિતા કર્યા કરે છે. – સ્વામી રામતીર્થ

જ્ઞાનમાં કરેલું રોકાણ સૌથી ઊંચુ વ્યાજ રળી આપે છે. – બેન્જામિન ફ્રેંકલિન

ઝાડ મને ખૂબ ગમે છે, કારણ કે એ હંમેશા મૂંગા રહે છે. – જી.કે.ચેસ્ટરસન

‘જે દિવસે હું કામ નહિ કરી શકુ એ દિવસે મારા માટે જીવનનો કોઇ અર્થ નહિ હોય.’ – સ્વિડીસ ફિલ્મસર્જક ઇંગમાર બર્ગમેન

ચોક્કસાઇ એ મહાનતા નથી, પણ ચોક્કસાઇ મહાનતા તરફ જરૂર લઇ જાય છે. – લિયોનાર્દો દ વિન્ચી

Posted by: રોહિત વણપરીયા | November 2, 2009

મેં આપેલ ઉછીની રકમનો એક પ્રસંગ…

હું જે ઓફિસમાં નોકરી કરૂ છું ત્યાંનાં મિત્રો સાથે જ લગભગ આખો દિવસ રહેવાનું હોય છે. જાગૃત અવસ્થામાં પત્ની સાથે નહિ રહેતા હોઇએ એથી વધુ સમય ઓફિસનાં મિત્રો સાથે રહેવાનું બનતું હોય છે. લગભગ દરેક નોકરિયાતોની આ જ સ્થિતી હોય છે. આ બધા ઓફિસનાં મિત્રોમાંથી મારો એક મિત્ર કે જેની સાથે મારે બીજાઓની સરખામણીએ વધારે જામતું અને એથી અમે અવારનવાર ચા-પાણી-નાસ્તો કરવા માટે સાથે જ જતાં હતાં.

એક દિવસની વાત છે: એ મિત્રએ મને કહ્યું, ‘મારે ૫૦૦૦૦ રૂપિયાની જરૂર છે. વ્યવસ્થા થઇ શકશે?’ એનો ભાઇ Work Permit Visa ઉપર વિદેશ જવાનો હોઇ એને જરૂર હતી. મેં કહ્યું, ‘તારે શાં માટે જોઇતા છે એની સાથે મારે કોઇ મતલબ નથી, પણ વાંધો નહિ, વ્યવસ્થા થઇ જશે.’ એ વખતે તેની જરૂરિયાતની રકમ કરતાં મારી પાસે રહેલી રોકડ રકમમાં ૨૦૦૦૦ રૂપિયા ઘટતા હતાં, પણ વાંધો ન હતો. મારી પાસે રહેલ કેટલીક કંપનીનાં શેરમાંથી એક કંપની Triveni Eng.નાં ૪૦૦ શેર મેં બે માસ પહેલાં શેરદીઠ રૂ.૫૫માં લીધા હતાં એ રૂ. ૬૦માં વેંચી નાખ્યા. છેવટે મેં એને રૂ. ૪૦૦૦૦ આપ્યા. મારા આ રૂપિયા તેણે મને સમયાંતરે કે એકસાથે ચારેક મહિનામાં આપવાની વાત કરી. જો કે મેં મનોમન આ સમયમર્યાદાની ધારણા છથી આઠ માસની રાખી, કેમ કે ઉછીના લેનાર મોટાભાગે સમયમર્યાદા ચૂકી જતો હોય છે એની મને ખબર હતી.

ચાર માસ તો જોતજોતામાં પસાર થઇ ગયાં, પણ એણે મને કાંઇ જ ચૂક્વ્યું ન હતું. રૂપિયા ચૂકવી આપવાની એની નીતિમાં મને કોઇ જ ખોટ લાગતી ન હતી. એ આર્થિક સમસ્યાથી ઘેરાયેલો હતો એથી મેં જ એને સામેથી એક ઉકેલ બતાવ્યો. Post-Officeની Monthly Saving Scheemમાં તેનું ખાતુ હતું અને તેની પાકતી મુદત હજુ બીજા છ માસ પછી આવતી હતી. એ જે રકમ આવે તેમાંથી એ મારી રકમ ચુકવે તો પણ તેનાં હાથમાં બીજા ૨૦૦૦૦ જેટલા રૂપિયા વધતા હતાં. આમાંથી મારે મારા રૂપિયા લઇ લેવા એવું અમે બંનેએ નક્કિ કર્યું.

આ વાતનાં એક જ માસ પછી તેણે જુનાનાં સ્થાને નવું કલર TV રૂ. ૧૦૦૦૦માં ખરીદ્યુ. એથી મને ઘણો આનંદ થયો. બીજા માસ પછી એકવખત એણે મને કહ્યું, ‘આર્થિક રીતે એ હવે હળવો થયો છે.’ મને ચૂકવી આપવા જેટલી રકમ તેની પાસે થઇ ગઇ છે એ વાત તેણે જ મને કરી (રકમ ચુકવવાની નહિ). આ પછી મારા જ Share-Broker દ્રારા તેણે રૂપિયા ૩૦૦૦૦-૩૫૦૦૦નાં શેરની ખરીદી કરી. જો કે એ વાત એણે છુપાવી ન હતી, એણે જ મને કહી હતી. એ વખતે મેં કહ્યું હોત તો એ મને કદાચ નહિ પણ ચોક્કસ મારી રકમ ચૂકવી આપત એમાં કોઇ જ શંકા ન હતી, પણ હું સામે ચાલીને કાંઇ જ કહેવા માંગતો ન હતો. અમારા સંબંધો પણ પહેલાની માફક જ ચાલુ હતાં.

એ પછીનાં બીજા ચાર માસ પછી Post Officeમાંથી તેનાં જે રૂપિયા આવ્યાં એમાંથી એણે મને મારા પૂરેપૂરા રૂ.૪૦૦૦૦ સહર્ષ ચૂકવી આપ્યા. એ દિવસે મારા હાથમાં મારી પૂરેપૂરી રકમ હતી એ દિવસે Triveni Eng. નાં શેરનો ભાવ રૂ. ૮૪ હતો. એ દિવસ અમારી વચ્ચેનાં સંબંધનો આખરી દિવસ હતો, કેમ કે હવે મને એની સાથે ફાવે તેમ જ ન હતું.

આથી વિરૂધ્ધ… અન્ય એક મિત્રને એકવખત ૫૦૦૦૦ રૂપિયા પાંચેક દિવસ માટે આપેલ, એ પછી તેની સાથે એવું બન્યું કે છ માસ સુધી એ ચૂકવી શકે એમ જ ન હતો. અમારી મિત્રતા એવી હતી કે એ રૂપિયા મારી પાસે હોય કે એની પાસે મારા માટે કોઇ ફરક પડતો ન હતો. તેણે મારી પાસે માત્ર બે દિવસનો વધારાનો સમય માંગ્યો. મેં તેને રૂપિયા અને સમય અંગે સંપૂર્ણ બેફિકર રહેવા જણાવ્યું, પણ તે ન માન્યો. બે જ દિવસમાં તેણે બધુ ચૂકવણું કરી દીધું, ઘરમાં રહેલા ઘરેણાં વેચીને. મને દુ:ખ થયું, હું નારાજ થયો, પણ એ ન માન્યો તે ન જ માન્યો.

હવે બીજી એક વાત. મારે ઓફિસનાં મિત્ર સાથે જે બન્યું એ જ વાત જો આ બીજા મિત્ર સાથે બની હોત તો મારો વ્યવહાર અલગ જ હોત અને એમ છતાં અમારો સંબંધ પહેલાની માફક જ રહ્યો હોત. આવા હોય છે સંબંધોનાં સમીકરણો !

Posted by: રોહિત વણપરીયા | October 24, 2009

પ્રસંગ : (૧)એચ.જી.વેલ્સ (૨) આઇન્સ્ટાઇન

ઇંગ્લેંડનો વિશ્વવિખ્યાત સાહિત્યકાર એચ.જી.વેલ્સ તેનાં એક મિત્રને લંડનમાં બનાવેલું પોતાનું વિશાળ મકાન બતાવી રહ્યો હતો. મિત્રને મકાન બતાવતા વેલ્સ અને તેનો મિત્ર ત્રીજા માળ પર આવ્યા, ત્યાં વેલ્સે તેનાં મિત્રને પોતાનો શયનકક્ષ બતાવ્યો. ખૂબ જ નાનો શયનકક્ષ જોઇને તેના મિત્રએ વેલ્સને કહ્યું, ‘તમે નીચેનાં માળ પર રહેલા મોટા શયનકક્ષનો ઉપયોગ શાં માટે નથી કરતાં? જ્યારે કે આ તો ખૂબ જ નાનો છે.’

વેલ્સે તેનાં મિત્રને કહ્યું, ‘એ ઓરડાઓ મારા નોકર અને રસોઇયા માટે છે, જેઓ છેલ્લા ૨૦ વર્ષથી મારી સાથે રહે છે.’

‘અન્ય બધે તો નોકરો માટે નાના ઓરડાઓ રાખવામાં આવે છે.’, મિત્રએ કહ્યું.

વેલ્સે મિત્રને કહ્યું, ‘મારે ત્યાં એવું નથી. મારી મા પણ એક સમયે લંડનમાં નોકરાણી હતી.’

પ્રસિધ્ધ વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનનાં ઘરે એમનાં પાડોશમાં રહેતી એક નાનકડી છોકરી દરરોજ રમવા માટે આવતી. આઇન્સ્ટાઇનની પ્રતિભાથી પરીચિત એ છોકરીની માતા જ્યારે એની પુત્રીને લેવા આવી ત્યારે તેણે આઇન્સ્ટાઇનને કહ્યું, ‘મારી પુત્રી આપને દરરોજ પરેશાન કરવા પહોંચી જાય છે એ બદલ હું દિલગીર છું. શું થાય? એ માનતી જ નથી.’

‘નહિ, નહિ’, આઇન્સ્ટાઇને કહ્યું, ‘તમે એ ચિંતા ન કરો. મને પણ એની સાથે સમય પસાર કરવામાં ખૂબ આનંદ આવે છે?’

છોકરીની માતાએ કહ્યું, ‘એ તો આપની મહાનતા છે. બાકી તો ૮ વર્ષની મારી દિકરી તમારા જેવા ૭૫ વર્ષનાં સજ્જનને પરેશાન જ કરતી હશે.’

આઇન્સ્ટાઇને હસતાં હસતાં કહ્યું, ‘એવું નથી. હું એના ગણિતનાં પ્રશ્નો હલ કરી આપુ છું અને એ બદલ તે મને ચોકલેટ આપે છે. મને ચોકલેટ ખૂબ ભાવે છે.’

Posted by: રોહિત વણપરીયા | October 21, 2009

ખલિલ જિબ્રાનનાં વાક્યો…

તમે જેટલું આપી શકો તેમ હો એથી વધુ આપો તેનું નામ ઉદારતા અને તમારે જેટલાની જરૂર હોય તે કરતાં ઓછુ લો તેનું નામ ગૌરવ.

ઘણાં સમય પહેલાથી જ આપણે આપણાં હર્ષ અને શોકની પસંદગી કરી લીધેલી હોય છે. પાછળથી એમને અનુભવવાનો વાંધો આવે છે.

માનવી જીવનનો મર્મ એણે જે સિધ્ધિ મેળવેલી છે તેમાં રહેલો નથી, પરંતુ એ જે સિધ્ધ કરવા મથે છે તેમાં રહેલો છે.

લંગડો પોતાની કાંખઘોડી દુશ્મનનાં માથામાં મારવામાં ન વાપરે એમાજ એનું ડહાપણ રહેલું છે.

આદતો, ઉમળકાઓ અને ધૂનોનાં જોરે નહિ, પરંતુ વિશુધ્ધ બુધ્ધિનાં જોરે ચાલતો માનવી મને ક્યા જડશે?

જ્યારે માનવીઓ મારા વાતોડિયા અવગુણોની પ્રશંશા કરવા લાગ્યા અને મારા મૂંગા સદગુણોની નિંદા કરવા લાગ્યા ત્યારે મારામાં એકાંતવાસની વૃતિ જન્મી.

જ્યારે મારૂ મધપાત્ર ખાલી હોય છે ત્યારે તેનું ખાલીપણુ મને સાલતુ નથી. એનો જરાપણ સંતાપ મને થતો નથી. પરંતુ, જ્યારે એ અધુરૂ ભરેલુ હોય છે ત્યારે જ મને એનાં પર ચીડ ચડે છે.

જરૂરિયાત અને વિલાસની વચ્ચે કોઇ માણસ રેખા દોરી શકતો નથી. માત્ર દેવદૂત જ એ કરી શકે. એ દેવદૂત એટલે આપણાં જ સુંદર વિચારો.

આ કેટલું વિચિત્ર છે! લોકો પ્લેગ વિશે વાત કરે છે ત્યારે ભય અને ઘ્રુજારી અનુભવે છે,
પરંતુ સિકંદર અને નેપોલિયન જેવા ધ્વંશકો વિશે આદરની ભાવના સાથે વાતો કરે છે.

Posted by: રોહિત વણપરીયા | October 15, 2009

દિપાવલીની શુભકામના સાથે આપ સર્વેને…

Lifestyle_Offers_Diwali_Gifts(2) diwali (1)

સાત્વિક અને સંતસમાન માણસોની સોબતમાં રહીએ.

ક્ષ્મીજી દેવીની કૃપા હંમેશા આપણા પર વરસતી રહે એ માટે મહેનત કરતા રહીએ.

મુશ્કેલીઓનો સામનો કરતાં પણ હસતાં રહીએ.

બાળકોને ભૌતિક સુવાધાઓ સાથે સંસ્કાર આપતા રહીએ.

હેઠાણને આદર્શ અને પવિત્ર રાખીએ.

રકસરથી અને આવક મુજબ ખર્ચ કરતાં રહીએ.

મૂર્ખ તો તે છે, જે પોતાનાં આત્માને છેતરતી વખતે એમ માને છે કે હું જગતને છેતરૂ છું.

ઘણાં માણસો પોતાને બોલતા આવડે છે એમ બતાવવા જતાં, પોતાને બોલતા નથી આવડતું એ સિધ્ધ કરી આપે છે.

આજે હોરોશીમા આદિ સ્થાનોમાં જે રીતે વિજ્ઞાનનો ઉપયોગ થઇ રહ્યો છે; એ જ રીતે જો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તો આજે જેમ વસ્તુની તંગી અનુભવાય છે, તેને સ્થાને વસ્તુ વાપરનારની તંગી તો ઊભી નહિ થાય ને?

પોતાનાં ક્ષેત્રમાં મનુષ્ય સંપૂર્ણ અને સમર્થ હોય તો તે વિશ્વનાં ગમે તે સ્થાનમાં સંપૂર્ણ અને સમર્થ બની શકે છે.

માણસને ધર્મથી મળતું સુખ જોઇએ છે, પણ ધર્મ કરવો નથી. અધર્મથી મળતું દુ:ખ જોઇતું નથી પણ અધર્મને છોડવો નથી – આ સંયોગોમાં સુખ કેમ મળે અને દુ:ખ કેમ ટળે?

ગટરનું અપવિત્ર જળ ગંગાનાં પ્રવાહમાં ભળે તો એ ગંગાજળ કહેવાય; જ્યારે ગંગાનું પવિત્ર જળ પણ ગટરમાં ભળે તો એ ગટરનું ગંદુ પાણી કહેવાય: તેમ દુર્જન, સજ્જનોમાં ભળે તો એ દુર્જન પણ ધીરેધીરે સજ્જનમાં ખપે; અને સજ્જન, દુર્જન સાથે વસે તો એ સજ્જન પણ દુર્જન કહેવાય!

જીવનનાં મેદાનમાં સિધ્ધિનાં નિર્મળ નીર હાથ હાથનાં સો કૂવા ખોદનારને નથી મળતા, પણ સો હાથનો એક કૂવો ખોદનારને જ મળે છે.

કોઇપણ દેશ, સમાજ કે વ્યક્તિ હો, પણ જ્યારે એનામાં પરમત અસહિષ્ણુતાની સંકુચિત-વૃતિ જન્મે છે ત્યારે તેનું અવશ્ય પતન જ થાય.

Posted by: રોહિત વણપરીયા | October 10, 2009

ચાણક્યએ કહેલી વાતો

સોનામાં કદી સુવાસ હોતી નથી. શેરડી ઉપર કદી કોઇએ ચંદનનાં ફૂલો ઊગતા જોયા નથી. શું સર્વશક્તિમાન ઇશ્વર આવું કરી શકતો ન હતો?
ઇશ્વરને આવું કરવાં કોઇ બુધ્ધિશાળીએ સલાહ નહિ આપી હોય? આવું વિચારતા તમે જરૂર આશ્ચર્ય પામશો. પરંતુ, એ ભૂલશો નહિ કે બધુ નિયમોને આધિન રહીને જ થઇ રહ્યું હોય છે. આ જ નિયમોનું પાલન ખુદ સર્જનહારે પણ કરવું પડે છે. આ નિયમો પ્રમાણે જ પ્રકૃતિ ચાલી રહી છે.

સંતાન અને પાણીમાં કોઇ અંતર નથી. એને જે પાત્રમાં નાખો તેવો જ આકાર લઇ લેશે. એ તો મા-બાપનાં વ્યવહાર પર નિર્ભર છે કે તેઓ એમને કેવી કેળવણી આપે છે.

પ્રમાણિક અને બુધ્ધિશાળી સંતાન સેંકડો બુધ્ધિહીન સંતાનો કરતા પણ શ્રેયકર છે.

પોતાની સીમા બહાર જનારા, મર્યાદા તોડનારા હંમેશા છેતરાય છે.

કોઇનું તપ, દાન, વિજ્ઞાન, સુશીલતા, નીતિ વગેરે જેવા ગુણો જોઇને આશ્ચ્રર્યમાં પડી જવું ન જોઇએ, કારણ કે દુનિયામાં એક કરતાં એક ચડિયાતા માણસો મળી આવે છે.

બુરાઓ સાથે હંમેશા બુરો જ વર્તાવ કરવો જોઇએ.

વગર બોલાવ્યે કોઇને ઘરે જવું, બે વ્યક્તિઓની વાતચીતમાં વચ્ચે બોલવું અને હકીકત જાણ્યા વગર દાન આપવું – આ બધા કામો બુરા છે.

સુંદર કન્યા, રૂપવતી વિધવા, ઘરડો વિધુર, સાંઢ, ઢોંગી, સન્યાસી અને તાંત્રિક – આ બધાથી હંમેશા બચીને રહેવું જોઇએ.

હાથીને અંકુશથી, ઘોડાને ચાબુકથી, શિંગડાવાળા પશુને દંડાથી શિક્ષા કરવી જોઇએ. પ્રત્યેક સાથે એનાં સ્વભાવ પ્રમાણે અને અનુસાર સજા કરવી જોઇએ. બધાને એક જ દંડાથી ક્યારેય હાંકી શકાતા નથી.

પાણીનું ટીપુ ગરમ તવા પડ્યું ને વરાળ બની ઊડી ગયું, કમળ પર પડ્યું ને મોતીને જેમ ચમક્યું, માછલીનાં પેટમાં ગયું ને મોતી બની ગયું. જે જેવા સ્થાન પર રહે છે તેવું જ તે સ્વરૂપ ધારણ કરે છે.

જે લોકો મળેલી વસ્તુને છોડીને એવી વસ્તુ પાછળ દોડે છે જે મળવાની આશા જ ન હોય, એવા લોકો મળેલી વસ્તુ પણ ખોઇ બેસે છે.

ધનનો નાશ, મનની શાંતિનો ભંગ, પત્નીની ચારિત્રની શંકા, તુચ્છ વ્યક્તિએ કરેલ અપમાન – આ બધુ ક્યારેય બુધ્ધિશાળી મનુષ્ય બીજાને કહેતો નથી.

પાપ અને અત્યાચારથી કમાયેલુ ધન વધારેમાં વધારે ૧૦ વર્ષ સુધી પાસે રહે છે.

રાજા, બાળક, અજાણ્યો કૂતરો, મૂર્ખ વ્યક્તિ, સાપ, સિંહ અને સૂવર. આ સાતને ક્યારેય પણ સૂતા હોય ત્યારે જગાડવા ન જોઇએ.

જે વ્યક્તિ નિસ્તેજ કે પ્રભાવહીન છે તેનાં પ્રસન્ન હોવા ઉપર નથી કોઇને લાભ થતો કે તેની નારાજગી ઉપર કોઇને નુકશાન થતું.

આજનાં યુગમાં આડંબરનું પણ એક અલગ મહત્વ છે. એ જુઠાણું હોય તો પણ તેને કારણે વ્યક્તિને ઘણીવાર કાંઇને કાંઇ લાભ તો મળી જ જાય છે.

Older Posts »

Categories