શેખશાદી – નિંદા વિષે
ઇરાનનાં શેખશાદી તેમનાં નાનપણનો એક પ્રસંગ વર્ણવે છે.
હું નાનો હતો ત્યારે આખી રાત કુરાન વાંચતો બેઠો હતો. જ્યારે મારી આસપાસનાં માણસો ઊંઘતા હતાં. મેં મારા અબ્બાજાનને કહ્યું, ‘આ જુઓને, લોકો કેવા છે? ખુદાને યાદ કરવાને બદલે ઊંઘે છે.’
આ સાંભળી પિતાજી બોલ્યાં, ‘બેટા, તું પણ ઊંઘી ગયો હોત તો સારૂ થાત, જેથી આ લોકોની તારા મોંએથી નિંદા તો ન થાત.’
નાનકજી અને અંધશ્રધ્ધાનું ખંડન
એકવખત ગુરૂ નાનક ગંગા કાંઠે હાથમાં પાણી લઇને ઉડાડતા હતાં. એ જોઇને ત્યાં રહેલાં ભક્તજનોએ તેમને આશ્ચર્યથી પુછ્યું, ‘નાનકજી, આ શું કરી રહ્યા છો?’
નાનકજી, ‘આ પાણીને હું પંજાબ પહોંચાડી રહ્યો છું’
લોકો, ‘અરે! આમ કાંઇ પાણી ઉડાડવાથી પંજાબ પહોંચાડી શકાતું હશે?’
નાનકજી, ‘જો તમારા પાણી અને શ્રાધ્ધનું ભોજન પિતૃઓને સ્વર્ગ સુધી પહોંચી જતું હોય તો મારૂ આ પાણી આટલે જ દૂર પંજાબ સુધી કેમ ના પહોંચે ?’
નાનકજીનો અંધશ્રધ્ધા ઉપરનો આ કટાક્ષ સાંભળીને લોકો વિચારતા થઇ ગયાં.