એક નવું મંદિર બની રહ્યું હતું ત્યારે ત્યાંથી પસાર થનાર એક મુસાફર એ જોવા માટે રોકાઇ ગયો. અનેક મજૂરો કામ કરી રહ્યાં હતાં. અનેક પથ્થરો તોડવામાં આવી રહ્યાં હતાં. પેલો મુસાફરે એક પથ્થર તોડવાવાળા મજૂર પાસે જઇને પૂછ્યું, ‘મિત્ર, તું આ શું કરી રહ્યો છો?’ પેલા મજૂરે ગુસ્સામાં કહ્યું, ‘જોતો નથી? આંધળો છો? હું પથ્થરો તોડી રહ્યો છું’, અને એ ફરીથી પથ્થરો તોડવા લાગ્યો.
હવે એ મુસાફર એક બીજા મજૂર તરફ આગળ વધ્યો અને એ જ પ્રશ્ન પૂછ્યો. એ મજૂરે ઉદાસીનતાથી જવાબ આપ્યો, ‘કાંઇ જ નથી કરી રહ્યો. બસ, રોજીરોટી કમાઇ રહ્યો છું’, અને એ પણ ફરીથી પથ્થરો તોડવા લાગ્યો.
એ મુસાફર વધુ આગળ વધ્યો. ત્યાં એક મજૂર ગીતો ગાતો ગાતો આનંદથી પથ્થરો તોડી રહ્યો હતો. પ્રશ્નનાં જવાબ એ આનંદનાં ભાવથી બોલ્યો, ‘બસ, ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું,’ અને એ ફરીવખત ગીતો ગાતો ગાતો પથ્થરો તોડવા લાગ્યો.
એ મંદિર બનાવનારા એ ત્રણે મજૂરો એ આપણામાંનાં જ ત્રણ પ્રકારનાં લોકામાંનાં છે જેઓ જીવનમંદિરને નિર્માણ કરે છે. આપણે બધા જીવનમંદિરનું નિર્માણ કરી રહ્યાં છીએ. એ નિર્માણ કરતી વખતે કોઇ ક્રોધમાં જ હોય છે, કોઇ એને બોજો સમજીને ઉધાસીન છે, તો કોઇ આનંદથી ભરેલો હોય છે.
જીવનને આપણે જેવું જોઇએ છીએ, જીવનને જોવાની આપણી જેવી વિચારસરણી હોય છે એવી જ આપણાં જીવનની અનુભૂતિ બની જાય છે. આપણે એ જ અનુભવ કરીએ છીએ જેવા આપણે હોઇએ છીએ. આપણે એ જ જોઇ શકીએ છીએ જેવી જોવાની આપણી દ્રષ્ટિ હોય છે.
———
તમે ધારી લીધુ છે કે મુશ્કેલી બહુ મોટી છે અને તમે નાના છો. ધર્મગુરૂઓ પણ તમને એ જ વાત સમજાવે છે કે તમે બહુ નાના છો અને મુશ્કેલી બહુ મોટી છે. તેઓ તમારો આત્મવિશ્વાસ હણી લે છે… તમારૂ અસ્તિત્વ તમારી ધારણા ઉપર નિર્ભર છે. તમે તમારી જાતને નાની સમજો તો તમે નાના છો. તમે માનો કે તમે મોટા છો તો તમે જરૂર મોટા બની શકશો.
———–
હું કોઇ ઉપદેશક નથી, પણ મને દેખાય કે મારી નજર સામે કોઇ એના માર્ગમાં અંધકારમાં ભટકે છે, કે પથ્થર સાથે ટકારાય છે, કે દુ:ખ/પીડાનો માર્ગ પસંદ કરે છે, તો પણ હું એને ઉપદેશ નથી આપતો, પણ એક દીવો/જ્યોત મારા ઘર આગળ જરૂર રાખુ છું. બની શકે કે એને માર્ગ મળી જાય, રસ્તો મળી જાય, બોધ મળી જાય. એ વાતની કોઇ ખુશી નથી કે કોઇ ભીડ સાંભળવા આવે છે કે નહિ, સાંભળે છે કે નહિ, એ પ્રશ્ન જ નથી. પ્રશ્ન એ છે કે, હું જોઉ છું કે જે રસ્તો ખોટો/ગલત છે એનાં ઉપર બીજાને ચાલવા દઉં તો એ પાપ છે, હિંસા છે. એ હું નથી ઇચ્છતો અને એટલે જ આપને કાંઇક કહું છું, પણ એ ઉપદેશ નથી. આપ એ માનવા, સ્વીકારવા, અનુયાયી બનવા બંધાયેલા નથી. તમે મને ગુરૂ બનાવવા ચાહશો તો પણ હું રાજી નથી. તમે મારી પાછળ જ ચાલવા ઇચ્છો છો તો હું તમારી ક્ષમા માંગુ છું. મારા કોઇ પુસ્તકને તમે જો શાસ્ત્ર બનાવવા માંગતા હો તો હું એને આગ લગાડી દઇશ કે જેથી એ શાસ્ત્ર ન બની શકે.
———–
હું કહેવા માંગુ છું કે જીવન એ કાંઇ અર્થહીન કથા નથી, જીવન તો એક સાર્થક આનંદ છે; પણ એવા જ લોકો માટે જેઓ જીવનનાં પ્રશ્નો/સમસ્યાઓ ઉકેલવાની હિંમત રાખે છે. જેઓ એક્સેપિસ્ટ છે, ભાગવાવાળા છે એને જીવનમાં આનંદ ન મળે તો તેમાં દોષ કોનો? જે જીવનનો/પ્રશ્નોનો સામનો કરે છે એને માટે જીવનનો અર્થ ખુલતો જાય છે.
એકદમ જ ઉત્તમ પ્રસંગસહ વિચાર……. વાહ આત્મા આનંદિતથી પુલકિત થઈ ઉઠ્યો……!!
દિવસમાં આપણે ઘણો કચરો આપણ મનમાં ભરીએ છે પણ આખા દિવસનો કચરો આવા ઉત્તમ પાનાથી જ શુધ્ધ થઈ જાય છે….. ઘન્યવાદ….. આ પાનુ હજુ સુવર્ણાક્ષરે લખશો અને સાચવી રાખવાથી ઘણાનો બેડો પાર થઈ શકે છે રોહિતભાઈ….. ઉત્તમ પ્રયાસ…… જાગો, ઉઠો અને કલમ લઈને આવુ જ લખો, દેશને આવા વિચારોની જરુર છે….
By: rajeshpadaya on February 8, 2011
at 11:50 am