Posted by: રોહિત વણપરીયા | November 2, 2009

મેં આપેલ ઉછીની રકમનો એક પ્રસંગ…

હું જે ઓફિસમાં નોકરી કરૂ છું ત્યાંનાં મિત્રો સાથે જ લગભગ આખો દિવસ રહેવાનું હોય છે. જાગૃત અવસ્થામાં પત્ની સાથે નહિ રહેતા હોઇએ એથી વધુ સમય ઓફિસનાં મિત્રો સાથે રહેવાનું બનતું હોય છે. લગભગ દરેક નોકરિયાતોની આ જ સ્થિતી હોય છે. આ બધા ઓફિસનાં મિત્રોમાંથી મારો એક મિત્ર કે જેની સાથે મારે બીજાઓની સરખામણીએ વધારે જામતું અને એથી અમે અવારનવાર ચા-પાણી-નાસ્તો કરવા માટે સાથે જ જતાં હતાં.

એક દિવસની વાત છે: એ મિત્રએ મને કહ્યું, ‘મારે ૫૦૦૦૦ રૂપિયાની જરૂર છે. વ્યવસ્થા થઇ શકશે?’ એનો ભાઇ Work Permit Visa ઉપર વિદેશ જવાનો હોઇ એને જરૂર હતી. મેં કહ્યું, ‘તારે શાં માટે જોઇતા છે એની સાથે મારે કોઇ મતલબ નથી, પણ વાંધો નહિ, વ્યવસ્થા થઇ જશે.’ એ વખતે તેની જરૂરિયાતની રકમ કરતાં મારી પાસે રહેલી રોકડ રકમમાં ૨૦૦૦૦ રૂપિયા ઘટતા હતાં, પણ વાંધો ન હતો. મારી પાસે રહેલ કેટલીક કંપનીનાં શેરમાંથી એક કંપની Triveni Eng.નાં ૪૦૦ શેર મેં બે માસ પહેલાં શેરદીઠ રૂ.૫૫માં લીધા હતાં એ રૂ. ૬૦માં વેંચી નાખ્યા. છેવટે મેં એને રૂ. ૪૦૦૦૦ આપ્યા. મારા આ રૂપિયા તેણે મને સમયાંતરે કે એકસાથે ચારેક મહિનામાં આપવાની વાત કરી. જો કે મેં મનોમન આ સમયમર્યાદાની ધારણા છથી આઠ માસની રાખી, કેમ કે ઉછીના લેનાર મોટાભાગે સમયમર્યાદા ચૂકી જતો હોય છે એની મને ખબર હતી.

ચાર માસ તો જોતજોતામાં પસાર થઇ ગયાં, પણ એણે મને કાંઇ જ ચૂક્વ્યું ન હતું. રૂપિયા ચૂકવી આપવાની એની નીતિમાં મને કોઇ જ ખોટ લાગતી ન હતી. એ આર્થિક સમસ્યાથી ઘેરાયેલો હતો એથી મેં જ એને સામેથી એક ઉકેલ બતાવ્યો. Post-Officeની Monthly Saving Scheemમાં તેનું ખાતુ હતું અને તેની પાકતી મુદત હજુ બીજા છ માસ પછી આવતી હતી. એ જે રકમ આવે તેમાંથી એ મારી રકમ ચુકવે તો પણ તેનાં હાથમાં બીજા ૨૦૦૦૦ જેટલા રૂપિયા વધતા હતાં. આમાંથી મારે મારા રૂપિયા લઇ લેવા એવું અમે બંનેએ નક્કિ કર્યું.

આ વાતનાં એક જ માસ પછી તેણે જુનાનાં સ્થાને નવું કલર TV રૂ. ૧૦૦૦૦માં ખરીદ્યુ. એથી મને ઘણો આનંદ થયો. બીજા માસ પછી એકવખત એણે મને કહ્યું, ‘આર્થિક રીતે એ હવે હળવો થયો છે.’ મને ચૂકવી આપવા જેટલી રકમ તેની પાસે થઇ ગઇ છે એ વાત તેણે જ મને કરી (રકમ ચુકવવાની નહિ). આ પછી મારા જ Share-Broker દ્રારા તેણે રૂપિયા ૩૦૦૦૦-૩૫૦૦૦નાં શેરની ખરીદી કરી. જો કે એ વાત એણે છુપાવી ન હતી, એણે જ મને કહી હતી. એ વખતે મેં કહ્યું હોત તો એ મને કદાચ નહિ પણ ચોક્કસ મારી રકમ ચૂકવી આપત એમાં કોઇ જ શંકા ન હતી, પણ હું સામે ચાલીને કાંઇ જ કહેવા માંગતો ન હતો. અમારા સંબંધો પણ પહેલાની માફક જ ચાલુ હતાં.

એ પછીનાં બીજા ચાર માસ પછી Post Officeમાંથી તેનાં જે રૂપિયા આવ્યાં એમાંથી એણે મને મારા પૂરેપૂરા રૂ.૪૦૦૦૦ સહર્ષ ચૂકવી આપ્યા. એ દિવસે મારા હાથમાં મારી પૂરેપૂરી રકમ હતી એ દિવસે Triveni Eng. નાં શેરનો ભાવ રૂ. ૮૪ હતો. એ દિવસ અમારી વચ્ચેનાં સંબંધનો આખરી દિવસ હતો, કેમ કે હવે મને એની સાથે ફાવે તેમ જ ન હતું.

આથી વિરૂધ્ધ… અન્ય એક મિત્રને એકવખત ૫૦૦૦૦ રૂપિયા પાંચેક દિવસ માટે આપેલ, એ પછી તેની સાથે એવું બન્યું કે છ માસ સુધી એ ચૂકવી શકે એમ જ ન હતો. અમારી મિત્રતા એવી હતી કે એ રૂપિયા મારી પાસે હોય કે એની પાસે મારા માટે કોઇ ફરક પડતો ન હતો. તેણે મારી પાસે માત્ર બે દિવસનો વધારાનો સમય માંગ્યો. મેં તેને રૂપિયા અને સમય અંગે સંપૂર્ણ બેફિકર રહેવા જણાવ્યું, પણ તે ન માન્યો. બે જ દિવસમાં તેણે બધુ ચૂકવણું કરી દીધું, ઘરમાં રહેલા ઘરેણાં વેચીને. મને દુ:ખ થયું, હું નારાજ થયો, પણ એ ન માન્યો તે ન જ માન્યો.

હવે બીજી એક વાત. મારે ઓફિસનાં મિત્ર સાથે જે બન્યું એ જ વાત જો આ બીજા મિત્ર સાથે બની હોત તો મારો વ્યવહાર અલગ જ હોત અને એમ છતાં અમારો સંબંધ પહેલાની માફક જ રહ્યો હોત. આવા હોય છે સંબંધોનાં સમીકરણો !

Posted by: રોહિત વણપરીયા | October 24, 2009

પ્રસંગ : (૧)એચ.જી.વેલ્સ (૨) આઇન્સ્ટાઇન

ઇંગ્લેંડનો વિશ્વવિખ્યાત સાહિત્યકાર એચ.જી.વેલ્સ તેનાં એક મિત્રને લંડનમાં બનાવેલું પોતાનું વિશાળ મકાન બતાવી રહ્યો હતો. મિત્રને મકાન બતાવતા વેલ્સ અને તેનો મિત્ર ત્રીજા માળ પર આવ્યા, ત્યાં વેલ્સે તેનાં મિત્રને પોતાનો શયનકક્ષ બતાવ્યો. ખૂબ જ નાનો શયનકક્ષ જોઇને તેના મિત્રએ વેલ્સને કહ્યું, ‘તમે નીચેનાં માળ પર રહેલા મોટા શયનકક્ષનો ઉપયોગ શાં માટે નથી કરતાં? જ્યારે કે આ તો ખૂબ જ નાનો છે.’

વેલ્સે તેનાં મિત્રને કહ્યું, ‘એ ઓરડાઓ મારા નોકર અને રસોઇયા માટે છે, જેઓ છેલ્લા ૨૦ વર્ષથી મારી સાથે રહે છે.’

‘અન્ય બધે તો નોકરો માટે નાના ઓરડાઓ રાખવામાં આવે છે.’, મિત્રએ કહ્યું.

વેલ્સે મિત્રને કહ્યું, ‘મારે ત્યાં એવું નથી. મારી મા પણ એક સમયે લંડનમાં નોકરાણી હતી.’

પ્રસિધ્ધ વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનનાં ઘરે એમનાં પાડોશમાં રહેતી એક નાનકડી છોકરી દરરોજ રમવા માટે આવતી. આઇન્સ્ટાઇનની પ્રતિભાથી પરીચિત એ છોકરીની માતા જ્યારે એની પુત્રીને લેવા આવી ત્યારે તેણે આઇન્સ્ટાઇનને કહ્યું, ‘મારી પુત્રી આપને દરરોજ પરેશાન કરવા પહોંચી જાય છે એ બદલ હું દિલગીર છું. શું થાય? એ માનતી જ નથી.’

‘નહિ, નહિ’, આઇન્સ્ટાઇને કહ્યું, ‘તમે એ ચિંતા ન કરો. મને પણ એની સાથે સમય પસાર કરવામાં ખૂબ આનંદ આવે છે?’

છોકરીની માતાએ કહ્યું, ‘એ તો આપની મહાનતા છે. બાકી તો ૮ વર્ષની મારી દિકરી તમારા જેવા ૭૫ વર્ષનાં સજ્જનને પરેશાન જ કરતી હશે.’

આઇન્સ્ટાઇને હસતાં હસતાં કહ્યું, ‘એવું નથી. હું એના ગણિતનાં પ્રશ્નો હલ કરી આપુ છું અને એ બદલ તે મને ચોકલેટ આપે છે. મને ચોકલેટ ખૂબ ભાવે છે.’

Posted by: રોહિત વણપરીયા | October 21, 2009

ખલિલ જિબ્રાનનાં વાક્યો…

તમે જેટલું આપી શકો તેમ હો એથી વધુ આપો તેનું નામ ઉદારતા અને તમારે જેટલાની જરૂર હોય તે કરતાં ઓછુ લો તેનું નામ ગૌરવ.

ઘણાં સમય પહેલાથી જ આપણે આપણાં હર્ષ અને શોકની પસંદગી કરી લીધેલી હોય છે. પાછળથી એમને અનુભવવાનો વાંધો આવે છે.

માનવી જીવનનો મર્મ એણે જે સિધ્ધિ મેળવેલી છે તેમાં રહેલો નથી, પરંતુ એ જે સિધ્ધ કરવા મથે છે તેમાં રહેલો છે.

લંગડો પોતાની કાંખઘોડી દુશ્મનનાં માથામાં મારવામાં ન વાપરે એમાજ એનું ડહાપણ રહેલું છે.

આદતો, ઉમળકાઓ અને ધૂનોનાં જોરે નહિ, પરંતુ વિશુધ્ધ બુધ્ધિનાં જોરે ચાલતો માનવી મને ક્યા જડશે?

જ્યારે માનવીઓ મારા વાતોડિયા અવગુણોની પ્રશંશા કરવા લાગ્યા અને મારા મૂંગા સદગુણોની નિંદા કરવા લાગ્યા ત્યારે મારામાં એકાંતવાસની વૃતિ જન્મી.

જ્યારે મારૂ મધપાત્ર ખાલી હોય છે ત્યારે તેનું ખાલીપણુ મને સાલતુ નથી. એનો જરાપણ સંતાપ મને થતો નથી. પરંતુ, જ્યારે એ અધુરૂ ભરેલુ હોય છે ત્યારે જ મને એનાં પર ચીડ ચડે છે.

જરૂરિયાત અને વિલાસની વચ્ચે કોઇ માણસ રેખા દોરી શકતો નથી. માત્ર દેવદૂત જ એ કરી શકે. એ દેવદૂત એટલે આપણાં જ સુંદર વિચારો.

આ કેટલું વિચિત્ર છે! લોકો પ્લેગ વિશે વાત કરે છે ત્યારે ભય અને ઘ્રુજારી અનુભવે છે,
પરંતુ સિકંદર અને નેપોલિયન જેવા ધ્વંશકો વિશે આદરની ભાવના સાથે વાતો કરે છે.

Posted by: રોહિત વણપરીયા | October 15, 2009

દિપાવલીની શુભકામના સાથે આપ સર્વેને…

Lifestyle_Offers_Diwali_Gifts(2) diwali (1)

સાત્વિક અને સંતસમાન માણસોની સોબતમાં રહીએ.

ક્ષ્મીજી દેવીની કૃપા હંમેશા આપણા પર વરસતી રહે એ માટે મહેનત કરતા રહીએ.

મુશ્કેલીઓનો સામનો કરતાં પણ હસતાં રહીએ.

બાળકોને ભૌતિક સુવાધાઓ સાથે સંસ્કાર આપતા રહીએ.

હેઠાણને આદર્શ અને પવિત્ર રાખીએ.

રકસરથી અને આવક મુજબ ખર્ચ કરતાં રહીએ.

મૂર્ખ તો તે છે, જે પોતાનાં આત્માને છેતરતી વખતે એમ માને છે કે હું જગતને છેતરૂ છું.

ઘણાં માણસો પોતાને બોલતા આવડે છે એમ બતાવવા જતાં, પોતાને બોલતા નથી આવડતું એ સિધ્ધ કરી આપે છે.

આજે હોરોશીમા આદિ સ્થાનોમાં જે રીતે વિજ્ઞાનનો ઉપયોગ થઇ રહ્યો છે; એ જ રીતે જો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તો આજે જેમ વસ્તુની તંગી અનુભવાય છે, તેને સ્થાને વસ્તુ વાપરનારની તંગી તો ઊભી નહિ થાય ને?

પોતાનાં ક્ષેત્રમાં મનુષ્ય સંપૂર્ણ અને સમર્થ હોય તો તે વિશ્વનાં ગમે તે સ્થાનમાં સંપૂર્ણ અને સમર્થ બની શકે છે.

માણસને ધર્મથી મળતું સુખ જોઇએ છે, પણ ધર્મ કરવો નથી. અધર્મથી મળતું દુ:ખ જોઇતું નથી પણ અધર્મને છોડવો નથી – આ સંયોગોમાં સુખ કેમ મળે અને દુ:ખ કેમ ટળે?

ગટરનું અપવિત્ર જળ ગંગાનાં પ્રવાહમાં ભળે તો એ ગંગાજળ કહેવાય; જ્યારે ગંગાનું પવિત્ર જળ પણ ગટરમાં ભળે તો એ ગટરનું ગંદુ પાણી કહેવાય: તેમ દુર્જન, સજ્જનોમાં ભળે તો એ દુર્જન પણ ધીરેધીરે સજ્જનમાં ખપે; અને સજ્જન, દુર્જન સાથે વસે તો એ સજ્જન પણ દુર્જન કહેવાય!

જીવનનાં મેદાનમાં સિધ્ધિનાં નિર્મળ નીર હાથ હાથનાં સો કૂવા ખોદનારને નથી મળતા, પણ સો હાથનો એક કૂવો ખોદનારને જ મળે છે.

કોઇપણ દેશ, સમાજ કે વ્યક્તિ હો, પણ જ્યારે એનામાં પરમત અસહિષ્ણુતાની સંકુચિત-વૃતિ જન્મે છે ત્યારે તેનું અવશ્ય પતન જ થાય.

Posted by: રોહિત વણપરીયા | October 10, 2009

ચાણક્યએ કહેલી વાતો

સોનામાં કદી સુવાસ હોતી નથી. શેરડી ઉપર કદી કોઇએ ચંદનનાં ફૂલો ઊગતા જોયા નથી. શું સર્વશક્તિમાન ઇશ્વર આવું કરી શકતો ન હતો?
ઇશ્વરને આવું કરવાં કોઇ બુધ્ધિશાળીએ સલાહ નહિ આપી હોય? આવું વિચારતા તમે જરૂર આશ્ચર્ય પામશો. પરંતુ, એ ભૂલશો નહિ કે બધુ નિયમોને આધિન રહીને જ થઇ રહ્યું હોય છે. આ જ નિયમોનું પાલન ખુદ સર્જનહારે પણ કરવું પડે છે. આ નિયમો પ્રમાણે જ પ્રકૃતિ ચાલી રહી છે.

સંતાન અને પાણીમાં કોઇ અંતર નથી. એને જે પાત્રમાં નાખો તેવો જ આકાર લઇ લેશે. એ તો મા-બાપનાં વ્યવહાર પર નિર્ભર છે કે તેઓ એમને કેવી કેળવણી આપે છે.

પ્રમાણિક અને બુધ્ધિશાળી સંતાન સેંકડો બુધ્ધિહીન સંતાનો કરતા પણ શ્રેયકર છે.

પોતાની સીમા બહાર જનારા, મર્યાદા તોડનારા હંમેશા છેતરાય છે.

કોઇનું તપ, દાન, વિજ્ઞાન, સુશીલતા, નીતિ વગેરે જેવા ગુણો જોઇને આશ્ચ્રર્યમાં પડી જવું ન જોઇએ, કારણ કે દુનિયામાં એક કરતાં એક ચડિયાતા માણસો મળી આવે છે.

બુરાઓ સાથે હંમેશા બુરો જ વર્તાવ કરવો જોઇએ.

વગર બોલાવ્યે કોઇને ઘરે જવું, બે વ્યક્તિઓની વાતચીતમાં વચ્ચે બોલવું અને હકીકત જાણ્યા વગર દાન આપવું – આ બધા કામો બુરા છે.

સુંદર કન્યા, રૂપવતી વિધવા, ઘરડો વિધુર, સાંઢ, ઢોંગી, સન્યાસી અને તાંત્રિક – આ બધાથી હંમેશા બચીને રહેવું જોઇએ.

હાથીને અંકુશથી, ઘોડાને ચાબુકથી, શિંગડાવાળા પશુને દંડાથી શિક્ષા કરવી જોઇએ. પ્રત્યેક સાથે એનાં સ્વભાવ પ્રમાણે અને અનુસાર સજા કરવી જોઇએ. બધાને એક જ દંડાથી ક્યારેય હાંકી શકાતા નથી.

પાણીનું ટીપુ ગરમ તવા પડ્યું ને વરાળ બની ઊડી ગયું, કમળ પર પડ્યું ને મોતીને જેમ ચમક્યું, માછલીનાં પેટમાં ગયું ને મોતી બની ગયું. જે જેવા સ્થાન પર રહે છે તેવું જ તે સ્વરૂપ ધારણ કરે છે.

જે લોકો મળેલી વસ્તુને છોડીને એવી વસ્તુ પાછળ દોડે છે જે મળવાની આશા જ ન હોય, એવા લોકો મળેલી વસ્તુ પણ ખોઇ બેસે છે.

ધનનો નાશ, મનની શાંતિનો ભંગ, પત્નીની ચારિત્રની શંકા, તુચ્છ વ્યક્તિએ કરેલ અપમાન – આ બધુ ક્યારેય બુધ્ધિશાળી મનુષ્ય બીજાને કહેતો નથી.

પાપ અને અત્યાચારથી કમાયેલુ ધન વધારેમાં વધારે ૧૦ વર્ષ સુધી પાસે રહે છે.

રાજા, બાળક, અજાણ્યો કૂતરો, મૂર્ખ વ્યક્તિ, સાપ, સિંહ અને સૂવર. આ સાતને ક્યારેય પણ સૂતા હોય ત્યારે જગાડવા ન જોઇએ.

જે વ્યક્તિ નિસ્તેજ કે પ્રભાવહીન છે તેનાં પ્રસન્ન હોવા ઉપર નથી કોઇને લાભ થતો કે તેની નારાજગી ઉપર કોઇને નુકશાન થતું.

આજનાં યુગમાં આડંબરનું પણ એક અલગ મહત્વ છે. એ જુઠાણું હોય તો પણ તેને કારણે વ્યક્તિને ઘણીવાર કાંઇને કાંઇ લાભ તો મળી જ જાય છે.

Posted by: રોહિત વણપરીયા | October 8, 2009

થોડુક ગ્રીક તત્વચિંતન…

ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલ (ઇ.સ.પૂર્વે ૩૮૪-૩૨૨) સિકંદરનાં ગુરૂ હતાં. એ સમયે સિકંદરનાં શિક્ષણ માટે તેને સિકંદરનાં પિતાએ જે રકમ આપી હતી તેને આજનાં મૂલ્યમાં ગણીએ તો કરોડો રૂપિયા થાય એવી હતી. આ એરિસ્ટોટલે પોતાની સંસ્થામાં પગારદાર તરીકે ૧૦૦૦થી વધુ મદદનીશો રાખ્યા હતાં. તેણે કહ્યું છે કે,

ઇશ્વર જગતનો કર્તા નથી, પણ જગતની ગતિનું કારણ છે.

સહિયારી સંપતિ અને કુટુંબવિહીન સમાજ વ્યવસ્થા ભારે અંધાધૂંધી અને ગુનાખોરી ફેલાવશે. જે સૌનું સહિયારૂ હશે તેની કોઇને દરકાર હશે નહિ.

માણસ માટે રાજ્ય છે, નહિ કે રાજ્ય માટે માણસ.

માણસનો જન્મ એકમાત્ર હેતુ માટે થયો છે – સુખી થવા માટે. સુખનો અર્થ આપતા તે કહે છે કે શુભ કાર્યો કરવાથી જે મન:સ્થિતી ઉપજે છે તેનું નામ જ સુખ.

ગ્રીક તત્વચિંતક એપિક્યુરસ (ઇ.સ.પૂર્વે ૩૪૨-૨૭૦). એથેન્સમાં એમની શૈક્ષણિક સંસ્થામાં શિષ્યો, ધનિકો, ગુલામો, વેશ્યાઓ બધા સાથે શીખતા અને સમાન દરજ્જાથી સાથે રહેતા. તે કહેતો,

હું કોણ છું અને હું જે કાંઇ છું તે શાં માટે છું ? એવો પ્રશ્ન દરેક મનુષ્યને થવો જોઇએ.

આપણે સૌ ઇશ્વરનાં સંતાનો છીએ એવી વાતો તદન વાહિયાત છે.

સૌ પ્રથમ તો આપણે આપણાં મગજમાંથી બે ભયને નિર્મૂળ કરવા જોઇએ. એક: ઇશ્વરનો ભય અને બે: મૃત્યુનો ભય. આ બંને ભય થકી જ માનવજાત પરેશાન છે.

Posted by: રોહિત વણપરીયા | October 5, 2009

કેટલીક વિવિધ વાતો…(2)

ચિત્રકાર પિકાસો કહેતો…
ચિત્રકામ મારા કરતાં વધુ શક્તિશાળી છે, એને ફાવે એ મારી પાસે કરાવે છે….
ઇશ્વર, ખરેખર અનોખો કલાકાર છે. મારા જેવા કલાકાર તો ઇશ્વરની નાનકડી પ્રતિકૃતિ જ છે.

ઢોલનગારા વગાડીને કુંભકર્ણને જગાડવામાં આવ્યો અને જાગીને તેણે જાણ્યું કે સીતાહરણને પરિણામે તેને જગાડવામાં આવ્યો છે ત્યારે તેણે રાવણને કહ્યુ, ‘મોટાભાઇ, મેં ઊંઘમાં શું ગુમાવ્યું અને આપે જાગીને શું મેળવ્યું?’

…(શાહબુદીન રાઠોડનાં પુસ્તકમાંથી)

હું નાનો હતો ત્યારે આખી રાત કુરાન પઢતો બેઠો હતો. મારી બાજુમાં કેટલાક માણસો પડ્યા પડ્યા ઘોરતા હતાં. આ જોઇ મેં કહ્યું, ‘જુઓને અબ્બાજાન, આ લોકો કેવા છે? ખુદાને નમાજ પઢવી તો બાજુએ રહી. કોઇ માથુયે ઊંચુ કર્યા વગર કેવા ઘોરે છે?’
આ સાંભળીને પિતાજી બોલ્યા, ‘બેટા, તું પણ આ લોકોની માફક ઊંઘી ગયો હોત તો સારૂ હોત. જેથી તું પારકાઓની નિંદા કરવામાંથી બચી જાત.’ – શેખ સાદી

એકવાર એક રાજવીએ આવીને ફકીરને પૂછ્યું, ‘ફકીરબાબા, આપ મને કદી યાદ કરો છો ખરાં?’
ફકીરે જવાબ આપ્યો, ‘હા, જ્યારે હું મારા ખુદાને ભૂલી જાઉં છું, ત્યારે તમે યાદ આવો છો.’
- શેખ સાદી

મૂક ફિલ્મો પછી બોલતી ફિલ્મો આવી ત્યારે એ વિશે રશિયાનાં લેનિને કહેલ, ‘જ્યારે આ કળાનો વિકાસ થશે ત્યારે એ બીજી બધી કળાઓને પાછળ મૂકી દેશે.’

જેમ-જેમ વસતી વધતી જશે, પાક ઉત્પાદન માટેની જમીન ઓછી થશે, તેમ અનાજનાં ભાવોમાં છેવટે વધારો થયા વિના રહેવાનો નથી… અનાજ એટલું બધુ મોંઘુ બનશે કે સામાન્ય રોજી રળનાર પાસે બીજી વસ્તુઓ પાછળ ખર્ચ કરવા માટે બહુ ઓછી રકમ ફાજલ હશે. – બર્ટ્રાડ રસેલ (‘Roads to Freedom’માંથી)

Posted by: રોહિત વણપરીયા | October 1, 2009

દિવાળીમાં ફટાકડા વેચવાનો મારો અનુભવ

દિવાળી આવી રહી છે તો આજે મારા બ્લોગનાં વાંચકો સાથે આજથી ચાર વર્ષ પહેલા મને થયેલ મારો દિવાળીનાં તહેવારનો અનુભવ Share કરૂ છું.

નોકરીમાં દિવાળી નિમીતે આમ પણ રજાઓ આવતી હતી. તહેવારમાં ક્યાંય બહાર જવાનું આયોજન પણ ન હતું આ કારણે એ રજાઓનો લાભ લેવાનું વિચાર્યું. ઘણાં સમય પહેલા મારા એક મિત્રનાં લગ્ન વખતે ફોડવાનાં ફટાકડા ખરીદવા એની સાથે ફટાકડાનાં જથ્થાબંધ વેપારીને ત્યાં ગયો હતો. એ વખતે ફટાકડાનાં જથ્થાબંધ ભાવ અને છૂટક ભાવ વચ્ચેનો તફાવત જોઇને થયેલ કે આ ધંધો કરવા જેવો ખરો. સામાન્ય રીતે બે થી ત્રણ ગણાં ભાવે છૂટક ફટાકડા બધે વેચાતા હતાં. આથી થયું કે આ દિવાળીમાં કમ સે કમ એકવાર તો આ ધંધાનો અનુભવ લેવો જ છે. આ માટે સૌ પ્રથમ જગ્યાની વ્યવસ્થા કરવાની હોય ૧૫-૨૦ દિવસ માટે ભાડાની દુકાન ગોતવાનું શરૂ કર્યુ, અને એક મિત્રની મદદથી એ મળી પણ ગઇ. ઓફિસમાંથી ૧૫ દિવસ માટે અડધા દિવસની રજા મહામહેનતે/યેનકેન પ્રકારે મંજૂર કરાવી. દિવાળીને ૧૮ જ દિવસની વાર હતી એટલે એક ફટાકડાનાં હોલસેલરને ત્યાં ફટાકડાની ખરીદી કરવા પહોંચી ગયો. મદદ માટે સાથે એક મિત્રને સાથે લઇ ગયો.

ઘણાં લોકો એવું માનતા હોય છે કે પાસે રૂપિયા હોય એટલે જાણે એને કોઇની જરૂર નથી પડવાની, પણ ઘણાં પ્રસંગે કોઇની ને કોઇની મદદ લેવી પડતી જ હોય છે. રૂપિયા આપીને સહાય માટે માણસ રાખી શકાય, પણ જેની હાજરી કે સાથ આપણાં માટે ઉત્સાહવર્ધક હોય એવા મિત્ર આવા સમયે વધારે જરૂરી બની જાય છે. શરૂઆતમાં આશરે ૪૦૦૦૦ રૂપિયાનાં ફટાકડા લેવાનું આયોજન હતું. ઉત્સાહ એવો હતો કે જરૂર પડ્યે વધુ ફટાકડા લઇ જઇશું. દિવાળીને ૧૮ દિવસની વાર હોય નિરાંતે ફટાકડા ખરીદી શકાશે એમ હતું પણ ત્યાં પહોંચ્યો ત્યારે જોયું કે હોલસેલર કોઇને જવાબ દેવા પણ નવરો ન હતો. ઘરાકદીઠ એમનો એક માણસ ફરમાઇશ મુજબનાં ફટાકડા ફટાફટ કાઢી આપતો હતો અને એનો અલગ જગ્યાએ ઢગલો કરતો હતો. ખરીદીમાં ધાર્યા કરતાં વધારે સમય થયો પણ આખરે ખરીદી પૂરી કરીને ૩૫૦૦૦નું બીલ ચૂકતે કર્યું. દુકાનમાં જઇને ફટાકડા મૂક્યા અને બીજા દિવસે જઇને ગોઠવ્યા. બેનર બનાવ્યા અને દુકાન આગળ લાઇટની વ્યવસ્થા કરી.

આ વાતની ઘરે ખબર પડતાં પપ્પા થોડા ગુસ્સે થયાં પણ એમને સમજાવી લીધા. સમજ્યા એટલા માટે કે દિવાળી પછી જો ફટાકડા વધે તો એ વધેલ દારૂગોળો ઘરમાં તો ન જ રાખવો ને ગમે તેમ કરીને એનો નિકાલ કરી નાખવો.

દિવાળીને બરાબર ૧૨ દિવસની વાર હતી અને મેં દુકાને સાંજે ૪ થી ૧૦ બેસવાનું ચાલુ કર્યું. શરૂઆતનાં ૪ દિવસ અતિ ઠંડો પ્રતિસાદ રહ્યો. એ તો જે હોય તે પણ, એક તો નવી જગ્યા, આજુબાજુમાં કોઇ ઓળખે નહિ અને તેમાં વળી ૪ થી ૧૦ દુકાનમાં સાવ નવરા બેઠાં રહેવું, આ બધાથી ભયંકર કંટાળો આવતો હતો. સૌથી મોટો કંટાળો એ વાતનો કે સાંજે થાકીને ઘરે જાઉં ત્યારે એ જ સ્વાભાવિક પ્રશ્ન: ‘ફટાકડાં કેવાક વેચાય છે?’

દુકાને મળવા આવનાર મિત્રો પણ એ જ પૂછતા અને પછી કહેતાં કે, ‘ફટાકડાની સાચી માંગ તો દિવાળીનાં ૨-૩ દિવસ અગાઉ જ નીકળે છે, બાકી એમાં કાંઇ ટેન્શન રાખવા જેવું કાંઇ નથી.’ એ પછીનાં ૪ દિવસોમાં પણ અતિ ઠંડો પ્રતિસાદ રહ્યો. કારણ કદાચ એ પણ હોય કે આજુબાજુ પણ ઘણી દુકાનો હતી અને એમની પાસેની વેરાઇટી, જથ્થો અને જગ્યા મારા કરતાં મોટી હતી, વધુમાં એ લોકો આ વિસ્તારમાં દરવર્ષે આ ધંધો કરતાં હતાં.

જેની મદદથી મેં દુકાન ભાડે રાખી હતી એ મિત્ર અવારનવાર આંટો મારી જતો હતો. હવે દિવાળીને ૪ જ દિવસની વાર હતી. મારો એ મિત્ર દુકાનમાં રહેલા ફટાકડા જોઇને સ્થિતી જાણી ગયો. એ જોઇને એણે મને કહ્યું, ‘દિવાળી પછી પણ તારી પાસે ૭૫ ટકા ફટાકડા વધવાનાં છે.’ એ સાચુ જ કહેતો હતો, કેમ કે આજુબાજુનાં વેપારીઓએ જોર વધારી દીધું હતું. મેં કહ્યું, ‘જે થાય તે, પડ્યા એવા દેવાશે.’

એ ઊંચા અવાજે બોલ્યો, ‘એમ ના ચાલે, તું કાંઇ નાના બાળકોની રમત રમવા બેઠો છો? હું કહું એમ કરીશ તો અને તો જ તારા ફટાકડા વેચાશે.’

મેં કહ્યું, ‘બોલ, કઇ રીતે?’

એણે કહ્યું, ‘સાંભળ. મારે કાલથી રજા પડે છે. હું નજીકમાં જ રહું છું. કાલથી દુકાનમાં બેસીને હું ફટાકડા વેચીશ, કેમ કે સાચી ઘરાકી કાલથી જ શરૂ થશે, અને તારી પાસે હવે માત્ર ચાર જ દિવસ રહ્યાં છે.’ (આ ચાર દિવસ ઠંડા રહ્યા તો ન વેચાયેલા બધા ફટાકડા પડ્યા રહે.)

મેં કહ્યું, ‘બરાબર છે, પણ તું દુકાને રહીશ તો હું શું કરીશ? અહિં તો હું એકલો પણ વધી પડું છું.’

એ બોલ્યો, ‘અહિંથી થોડે જ (અડધો કિલોમીટર) દૂર એક શાકમાર્કેટ છે ત્યાં ચિક્કાર ર્ગીદી રહે છે. કાલનો દિવસ સાંજે ચારથી દસ ત્યાં ઊભો રહેજે. કાલથી જ હું તારા માટે એક રેંકડીની વ્યવસ્થા કરૂ છું.’

હવે હું ખીજાયો, ‘અશક્ય. મારાથી એ નહિ બને. મહેનત કરવામાં હું કદી પાછો પડ્યો નથી, પણ શું આ માટે મેં આ ધંધો કર્યો હતો?’

એ ઉશ્કેરાઇનો બોલ્યો, ‘વાંધો નહિં, હવે દિવાળી પછી જ મને મળજે. ઘરે જઇને ખૂબ ફટાકડા ફોડજો. દેવદિવાળીએ, હો! આપણી મિત્રતા સાચી પણ મહેરબાની કરીને આજ પછી મને કોઇપણ કામ માટે સાથે આવવાનું ક્યારેય કહેતો નહિં.’

મેં વ્યર્થ દલીલ કરી, ‘મને નુકશાની પોષાય છે, પણ આ હું નહિ કરૂ. એવું હોય તો કોઇ માણસ ગોતી લઇએ.’

એ બોલ્યો, ‘કોઇ આવશે પણ નહિ, ને એમ કોઇ પર ભરોસો પણ ન રાખી શકાય.’

બાદમાં વાત અધુરી મૂકીને એ ચાલ્યો ગયો.

બીજા દિવસે બપોરે એ દુકાને આવ્યો ને બોલ્યો, ‘હું હમણાં જ રેંકડી લઇને આવું છું. તારે દુકાને બેસવાનું છે, અને હું રેંકડીમાં ફટાકડા ભરીને વેંચવા જાઉ છું. OK.?’

એમ કરવાની તો મારે ના જ પાડવી પડે તેમ હતી. મેં ના કહેતા તેણે કહ્યું, ‘ગમે તે એક કરવાનું જ છે. બોલ શું કરવું છે?’

મારી પાસે હવે કોઇ વિકલ્પ જ ન હતો. આખરે હું તૈયાર થયો ને એ જોશમાં આવ્યો. રેંકડી લેવા એણે મને જ મોકલ્યો. રેંકડી લઇ આવીને વ્યથિત હદયે રેંકડામાં ફટાકડા ગોઠવ્યા અને એ લઇને હું શાકમાર્કેટે ગયો. (રાજકોટનાં સંત કબીર રોડ પરની શાક માર્કેટ) રેંકડી ક્યાં રાખવી એ પણ મોટો પ્રશ્ન હતો. જ્યાં જ્યાં ખાલી જગ્યા હતી એ બધી Fix હતી. મને લાગ્યું કે જો દુકાને મિત્રને આ પુછ્યું હોત તો એ ખિજાઇને કહેત, ‘તું હવે ઘરે જઇને શાંતિથી આરામ કર. તારી ભાભીને દુકાને બેસાડીને એ બધુ હું કરીશ ને રૂપિયા પણ તારા ઘરે પહોંચાડી આપીશ.’

મહામહેનતે ઊભવાની જગ્યા મળી. થોડીવારે છૂટક છૂટક ફટાકડા વેચાવા લાગ્યા. સાંજ થતી ગઇ એમ ઘરાકી વઘતી ગઇ. પહેલીવાર ૪ થી ૧૦ એકધારા ઊભવાને કારણે પગની કઢી થઇ ગઇ. એ દિવસે ૮૦૦૦નાં ફટાકડા વેંચાયા. મારા માટે આ નવાઇ હતી. ઘણીબધી હિંમત આવી. સાંજે જ્યારે દુકાને ગયો ત્યારે તેણે પણ ત્રણેક હજારનો વેપાર કર્યો હતો.

દુકાન બંધ કરીને હું રેંકડીવાળાને ત્યાં રેંકડી મૂકવા ગયો. મૂકીને ફરી પાછો ચાલીને વ્હીકલ લેવા દુકાને ગયો.

બીજા દિવસે સવારે બંને જણાં દુકાને ભેગા થયાં. મને ઘરેથી જ હતું કે બપોર સુધી દુકાને થોડો આરામ કરીને સાંજે ફરી ત્યાંજ રેંકડી લઇને ઊભવા માટે ચાલ્યો જઇશ.. હજુ સરખો બેસુ ત્યાંજ એ આદેશાત્મક અવાજે બોલ્યો, ‘જા, રેંકડી લઇ આવ.’ હું કોઇ હિચકિચાટ વગર એ લઇ આવ્યો. મને ખબર પડી ગઇ કે આજે સવારથી જ મારે ત્યાં ઊભવાનું છે. હું માનસિક રીતે તૈયાર પણ હતો.

ત્યાં જ એ બોલ્યો, ‘જો, સાંભળ. સવારથી બપોર સુધી બજારમાં કોઇ નહિં હોય. આજુબાજુની બધી સોસાયટીની શેરીઓમાં રેંકડી લઇને નીકળી જા. બપોરે હું બીજા ફટાકડાનાં થેલાઓ ભરીને કાલે જ્યા ઊભો હતો ત્યાં આપી જાઉં છું. હું કાંઇ બોલી ના શક્યો અને રેંકડી લઇને નીકળી ગયો.

એ ધનતેરસે હું રેંકડી લઇને ઓછામાં ઓછું છ કિલોમીટર ચાલ્યો. આનંદની વાત એ હતી કે ફટાકડા પણ વેંચાતા જતા હતાં. બપોર સુધીમાં ચારેક હજારનાં ફટાકડા વેચ્યા પછી મૂળ જગ્યાએ આવ્યો. થોડીવાર પછી મિત્ર આવીને નવો માલ આપી ગયો. એ દિવસે સાંજ સુધીમાં લગભગ ૧૦૦૦૦ નાં ફટાકડા વેચાયા. દુકાનમાંથી પણ આ બે દિવસ દરમિયાન પ્રમાણસર ફટાકડા વેચાયા હતાં.

એ પછી કાળીચૌદસનાં દિવસે આ જ પુનરાવર્તન. હવે મારી પાસે હજુ પચાસ ટકા માલ પડ્યો હતો. થોડીક ગણતરી કરીને કાળીચૌદસની રાત્રે બીજા છ હજારનાં ફટાકડાંની ખરીદી કરી.

દિવાળીનાં દિવસે સવારથી જ બજારમાં જઇને ઊભો રહ્યો. જતો હતો એ પહેલા મિત્રએ સૂચના આપી, ‘જો ઘરાકી વધુ હોય અને થોડાક ફટાકડા લઇને પૈસા આપ્યા વગર કોઇ ભાગે તો એને જવા દેજે, એની પાછળ ન જતો, નહિંતર રેંકડીમાંથી બીજા અનેકગણાં ફટાકડાં ચોરાઇ જશે.’ ત્યાં પહોંચ્યો ને થોડીવારમાં બીજો એક રેંકડીવાળો પણ ત્યાં ગોઠવાઇ ગયો. બંનેનાં નશીબ સારા હતાં. સવારથી ઘરાક આવતા હતાં ધરાકદીઠ આશરે 200-300 રૂપિયાનાં ફટાકડા વેંચાતા જતા હતાં. થોડી જ વારમાં બીજા ફટાકડાં દુકાનેથી લાવીને રેંકડીમાં રાખ્યાં. હવે વાંધો આવે એમ ન હતો. સાંજનાં સાડા છ સુધીમાં તો બધા ફટાકડા વેંચીને હું દુકાને પહોંચી ગયો. દુકાને પણ ખૂબ ઓછા ફટાકડાં વધ્યા હતાં. જેનો થોડો ભાવ ઘટાડીને થોડીવારમાં જ નિકાલ કર્યો. મિત્રએ મને કહ્યું, ‘જે ફટાકડા તે છ વાગ્યા સુધીમાં વેચી નાખ્યા એ નવ વાગ્યા સુધી વેંચવાનાં હતાં. વેંચાય જશે એ ખબર પડ્યા પછી ભાવમાં દોઢો વધારો કરીને, પણ તારો પહેલો અનુભવ હોવાથી તે જે કર્યું એ ઠીક છે.’

જેટલું રોકાણ એટલો નફો થયો. મારા મતે ચાલીસ-પચાસ ટકા નફા માટે મિત્ર પણ હકદાર હતો, પણ એ ન માન્યો, માત્ર થોડા ફટાકડા લઇ જવા માટે એ સમજ્યો. એ દિવાળીએ મારા બાળકોએ પણ મનભરીને ફટાકડા ફોડ્યા.

આ અનુભવ પછી મને થયું: ‘આપણાં માટે અમુક સંજોગોમાં જ્યારે ડેલ કાર્નેગી, સ્વેટ માર્ડનનાં પુસ્તક બેઅસર રહેતાં હોય છે ત્યારે આવા મિત્રો અણિનાં સમયે અસરકારક બની જતાં હોય છે.’ બીજી વાત એ કે આ વાતની ખબર મારા ઘરમાં ભાવના(પત્ની) સિવાય કોઇને નથી, કેમ કે ઘરમાં જે વાત જેને કહેવાની હોય છે એને જ એ વાત હું કહું છું.

Posted by: રોહિત વણપરીયા | September 29, 2009

‘The 3 Mistake of My Life’ By ચેતન ભગત વિશે થોડુક…

હોંગકોંગમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે કામ કરતાં લેખક એવા ચેતન ભગતને તેમની Mail-ID પર ૨૮-૧૨-૨૦૦૫નાં દિવસે એક Mail મળે છે. આ Mail અમદાવાદનાં એક યુવકે (Businessman)કર્યો હોય છે અને તેમાં તે આત્મહત્યા કરવા જઇ રહ્યો છે, એવી કબૂલાત હોય છે. લેખક તેમનાં સંપર્કોનો ઉપયોગ કરીને માત્ર આ Mail-ID પરથી એ યુવકને શોધી કાઢે છે. અમદાવાદ આવીને તેની મુલાકાત પણ લે છે. એ યુવાન બચી જાય છે. એ યુવાન Businessman ગોવિંદ પટેલની કથા ઉપરથી લેખકે જે નવલકથા લખી છે તે: ‘The ૩ Mistake of My Life’.

The-3-Mistakes-of-My-Life-book-cover-328x500 chetan bhagat

બેસ્ટ સેલર થયેલી આ એમની ૩જી નવલકથા છે. એ પહેલાની બે ‘Five Point Someone’ અને ‘One Night @ The Call Centre’ આજે પણ બેસ્ટ સેલર બુક ગણાય છે. ‘New York Times’એ આ લેખકને ભારતનાં સૌથી વધુ વંચાતા લેખક તરીકે ઓળખાવ્યા છે.

એમની Bisuness, Cricket અને Religion સાથે સંકળાયેલી આ નવલકથા ‘The 3 Mistake of My Life’ તો તમારે વાંચવી જ રહી. મને ગમેલા એમાનાં કેટલાક અંશો આપની સમક્ષ…

લાગણીશીલ લોકો તદન નકામા વેપારી હોય છે.

બિઝનેસ કરવા બાબતે મારો રસ ત્યારે વધ્યો જ્યારથી મેં ટ્યૂશન કરવાં શરૂ કર્યાં. પૈસા વધતા જોવાનો એક વિશિષ્ટ આનંદ હતો. પૈસા સાથે કૂલર કે સોફા જેવી વસ્તુઓ જ માત્ર આવતી ન હતી, પણ મહત્વની બાબત મળતી હતી – સન્માન!

મને લાગે છે કે ભારતીય માતાઓનાં બે જ કામ છે – તેમનાં બાળકોને વધારે ખાવાનું આપવાનું અને વધારે ભણવાનું કહેવાનું.

એકવાર જો લડાઇ ઊભી થઇ તો તેમાંથી બીજી લડાઇ ઊભી થશે જ. તમે તેને નિયંત્રિત ન કરી શકો.

દુનિયામાં એવો કોઇ વેપારી નથી જેણે ક્યારેય પણ પૈસા ગુમાવ્યા ન હોય. એવો કોઇ નથી જે સાઇકલ શીખતી વેળા પડ્યો ન હોય. એવો પણ કોઇ નથી જેણે દુ:ખી થયા વિના પ્રેમ કર્યો હોય. આ તો બધુ રમતનો એક ભાગ છે.

મીડલ ક્લાસ મા-બાપ જેવી વાતો ન કર. પૈસા ગુમાવવાની બીકે તેઓ પોતાનાં બાળકોને સલામત આવક મેળવવા આખી જિંદગી બીજાની ગુલામી કરવા કહે છે.

ભારત સ્વપ્નાં જોવાની ભૂમિ નથી. ખાસ કરીને જ્યારે તમે એકવાર નિષ્ફળ ગયા હો. હવે હું હિન્દુ તત્વજ્ઞાનનાં ડહાપણને સમજી શક્યો કે વધારાની ઇચ્છા રાખવાનાં બદલે તમને જે મળે છે તેમાં સંતોષ માનો. ઋષિઓએ નવરાશમાં શોધેલ આ કોરૂ તત્વજ્ઞાન ન હતું, પણ જે દેશમાં ઇચ્છાઓને સતત કચડવામાં આવે છે. તેમાં ટકવાનો મંત્ર હતો.

આત્મવિશ્વાસથી ભરપૂર વહુઓ ખતરનાક વહુઓ બની શકે છે.

« Newer Posts - Older Posts »

Categories